Press "Enter" to skip to content

Tag: મનહર ઉધાસ

જુઓ લીલા કોલેજમાં જઇ રહી છે


લીલા આસીમ રાંદેરી સાહેબની કલ્પના હતી કે હકીકત – એ તો એમના સિવાય કોઈ કહી શકે તેમ નહીં પણ એમણે લીલાના પાત્રને જે રીતે પોતાની રચનાઓમાં ઉપસાવ્યું છે તે કાબિલે તારીફ છે. તાપી તટે પાંગરેલ પ્રણયની સુંદર કલ્પનાઓથી મઢેલી એમની આ બહુપ્રસિધ્ધ નજમ માણો મનહર ઉધાસના સ્વરમાં.
*

*
જીવનને આંગણે તારી જુદાઇમાં લીલા
દિવસ કે રાત હોય બન્ને ઉદાસ આવે છે
ને વરસો વિત્યાં છતાં પણ કિનારે તાપીના
હજીય શ્વાસની તારા સુવાસ આવે છે.
*
જુવાની મહોબ્બતના દમ લઇ રહી છે
મને દિલની ધડકન ખબર દઇ રહી છે
પ્રણય રૂપના રંગ જોવાને માટે
બધાની નજર એ તરફ થઇ રહી છે
જુઓ લીલા કોલેજમાં જઇ રહી છે … જુઓ લીલા

કમલ જેવાં કરમાં એ પુસ્તક ઉઠાવી
પ્રણય ઉર્મિઓ મનની મનમાં સમાવી
મનોભાવ મુખ પર ન દેખાય તેથી
અદાથી જરા ડોક નીચી નમાવી
મને અવનવી પ્રેરણા દઇ રહી છે … જુઓ લીલા

છે લાલીમાં જે લચકતી લલીતા
ગતિ એવી જાણે સરકતી સરીતા
કલાથી વિભુષીત કલાકાર માટે
કવિતા જ સુંદર બનીને કવિતા
પ્રભુની પ્રભાની ઝલક દઇ રહી છે … જુઓ લીલા

ન સુરમો, ન કાજલ, ન પાવડર, ન લાલી
છતાંય એની રંગત છે સૌમાં નિરાળી
બધી ફેશનેબલ સખીઓની વચ્ચે
છે સાદાઇમાં એની જાહોજલાલી
શું ખાદીની સાડી મજા દઇ રહી છે … જુઓ લીલા

સરળથી ય સરળ છે એની સરળતા
નથી શબ્દ સમજાવવા કોઇ મળતા
લખું તોય લખતાં ન કાંઇ લખાયે
શમી જાય છે ભાવ હૈયે ઉછળતાં
અજબ મારા મનની દશા થઇ રહી છે … જુઓ લીલા

ભલા કોણ જાણે કે કોને રિઝવવા
અને કોના દિલની કળીને ખિલવવા
એ દરરોજ બે-ચાર સખીઓની સાથે
એ જાયે છે ભણવા કે ઉઠાં ભણવવા
ન સમજાય તેવી કલા થઇ રહી છે … જુઓ લીલા

કોઇ કે છે જાયે છે ચિત્રો ચિતરવા
કહે છે કોઇ જ્ઞાન ભંડાર ભરવા
કોઇ કેમ સમજે આ બાબતને ‘આસીમ’
અધુરા પ્રણયપાઠને પુર્ણ કરવા
એ દરરોજ ભણતરનાં સમ લઇ રહી છે … જુઓ લીલા

– આસીમ રાંદેરી

12 Comments

કરામત કરી છે


અમૃત ઘાયલની એક રચના મનહર ઉધાસના સ્વરમાં.
*
આલ્બમ: આવકાર

*
જીવન જેવું જીવું છું તેવું કાગળ પર ઉતારું છું,
ઉતારું છું પછી થોડું ઘણું તેને મઠારું છું,
ફરક તારા અને મારા વિશે છે એટલો જાહિદ,
વિચારીને તું જીવે છે હું જીવીને વિચારું છું.
*
જીવન સ્વપ્ન છે એ જ જૂનાં પરંતુ, નવેસરથી એવી મરામત કરી છે;
શિકલ બદલી ગઈ છે આ ખંડેર કેરી તમે પણ કહેશો કરામત કરી છે.

ઉપેક્ષા નથી ક્યારે પણ એની કીધી, અમે સૌ અવસ્થાની ઈજ્જત કરી છે;
શરાબીની યૌવનમાં સોબત કરી છે ફકીરોની ઘડપણમાં ખિદમત કરી છે.

કસમ ઘેલછાના, જીવનમાં કદાપિ નથી પાછી પાની કરી કોઈ પંથે;
મહોબત કહો તો મહોબત કરી છે બગાવત કહો તો બગાવત કરી છે.

જુવાનીના દિવસો એ રંગીન રાતો, ખુવારી મહીં એ ખુમારીની વાતો;
સદીઓ અમે બાદશાહી કરી છે હકૂમત વિના પણ હકૂમત કરી છે.

કહો દંભીઓને કે સમજાવે એને, કંઈ બંડ પાછું ન પોકારી બેસે.
કહે છે જવાનોએ ચોંકાવનારી; ફરી એકઠી કંઈ હકીકત કરી છે.

મુબારક તમોને ગુલોની જવાની, અમોને ન તોલો તણખલાની તોલે!
અમે એ જ બુલબુલ છીએ જેમણે આ ચમનની હંમેશા હિફાજત કરી છે.

નથી કોઈ પણ મેળના ભાગ્યે રાખ્યા, રહ્યા છે હવે ભાગ્યમાં માત્ર ફેરા;
અમે એમ ભટકી રહ્યા છીએ જ્યાં-ત્યાં, વતનમાંથી જાણે કે હિજરત કરી છે.

અવર તો અવર પણ કદરદાન મિત્રોય, રાખે છે વર્તાવ એવો અમોથી;
પરાયા વતનમાં અમે આવી જાણે, ફિરંગીની પેઠે વસાહત કરી છે.

પરાયા પસીનાનો પૈસો છે, ‘ઘાયલ’, કરે કેમ ના પુણ્ય પાણીની પેઠે!
કે દાનેશ્વરીએ સખાવતથી ઝાઝી, ગરીબોની દોલત ઉચાપત કરી છે.

– અમૃત ‘ઘાયલ’

3 Comments

ભૂલી ગયા મને


પ્રેમનો અનુભવ કદી એકસરખો હોતો નથી. કોઈકને એમાં પળ મળે, કોઈને એમાં છળ મળે તો કોઈને ઝળહળ મળે. અહીં એવા અનોખા પ્રેમની કહાની છે જેમાં પ્રેમની પ્રગાઢતામાં અપાયેલ વચનો મૃગજળ સમા નીવડ્યા છે. આંખોમાં આંખ પરોવીને એકબીજાને એમ કહેનાર કે હું કદી નહીં ભૂલું, તું જ ભૂલી જઈશ … એવું કહેનાર જ ભૂલી જાય. માણો કૈલાશ પંડીતની સુંદર રચના.
*
સ્વર – મનહર ઉધાસ અને અનુરાધા પૌંડ્રવાલ, આલ્બમ: આભૂષણ

*
ભૂલી જવાનો હું જ, એ કહેતા હતા મને,
એવું કહીને એ જ તો ભૂલી ગયા મને.

પૂછ્યું નથી શું કોઈએ, મારા વિશે કશું?
તારા વિશે તો કેટલું પૂછે બધા મને!

ચાલો હસીને વાત કરો, એ જ છે ઘણું,
મંજુર છે સૌ આપની એ આજ્ઞા મને.

ભૂલી જવાની વાત હવે યાદ ક્યાં મને?
તારા લખેલા એટલાં પત્રો મળ્યા મને

થાકી ગયો’તો ખૂબ ના ચાલી શકત જરા
સારું થયું કે લોક તો ઉંચકી ગયા મને

– કૈલાશ પંડીત

5 Comments

અવાજ


*
સ્વર : મનહર ઉધાસ

*
આંખો રડી પડી અને રેલાય છે અવાજ
છે બંધ હોઠ તોય વહી જાય છે અવાજ

બોલ્યા તમે એ વાતને વર્ષો થઇ ગયા
દિલમાં હજીય કેમ એ પડઘાય છે અવાજ

હોઠોનું સ્મિત આંખના મદમસ્ત ઇશારા
શબ્દો વિનાય આજ તો સંભળાય છે અવાજ

છે એમનાથી તો એ પરિચિત ઘણો છતાં
દિલની છે વાત એટલે શરમાય છે અવાજ

દિલની દિવાલો ગુજંતી થઇ જાય છે ‘મહેંક’
જો એની યાદનો કદી અથડાય છે અવાજ

– મહેંક ટંકારવી

5 Comments

સારી નથી હોતી


દુનિયામાં સામાન્ય રીતે એવું જોવામાં આવે છે કે જે સીધા, ભલા અને સચ્ચાઈના રાહે ચાલનારા હોય તેમને તકલીફો સહેવી પડે છે, તેમને મુસીબતો ઘેરી વળે છે, અને તેમની ડગલે ને પગલે કસોટી થાય છે. જ્યારે અન્યાય અને અધર્મનું આચરણ કરનાર જલસા કરતા દેખાય છે. ખુદાના આ અન્યાય સામે બેફામ અકળાઈ ઉઠે છે. મનહર ઉધાસના કંઠે સાંભળો આ સુંદર ગઝલ.
*

*
કેવી રીતે વીતે છે વખત, શું ખબર તને ?
તેં તો કદીયે કોઇની પ્રતિક્ષા નથી કરી
એ શું કે રોજ કરે તું જ મારું પારખું
મેં તો કદીયે તારી પરીક્ષા નથી કરી
* * *
ખુદા તારી કસોટીની પ્રથા સારી નથી હોતી
કે સારા હોય છે એની દશા સારી નથી હોતી

ખુબી તો એ કે ડુબી જાવ તો લઇ જાય છે કાંઠે
તરો ત્યારે જ સાગરની હવા સારી નથી હોતી.

જગતમાં સર્વને કહેતા નહીં ફરો કે દુઆ કરજો
ઘણાં એવાય છે જેની દુઆ સારી નથી હોતી

કબરમાં જઇને રહેશો તો ફરિશ્તાઓ ઊભા કરશે
અહીં ‘બેફામ’ કોઇ પણ જગા સારી નથી હોતી .

– બરકત વીરાણી ‘બેફામ’

6 Comments

સાચવીને રાખજો


પ્રેમમાં પડનાર બધા ખુશનસીબ નથી હોતા. ઘણાંને સંબંધોમાંથી છળ, વિશ્વાસઘાત કે દર્દ મળે છે. એથી જ દરેક પ્રેમી એવી આશા રાખે કે એનો પ્રેમ સદાય ફુલો જેવો તાજગીસભર રહે, એનું પ્રિય પાત્ર એના હૃદયની લાગણીઓને સમજે, સાચવે અને સંભાળે, એને ઠેસ ના પહોંચાડે. એવા જ ભાવથી ભરેલ અદી મિરઝાની એક સુંદર ગઝલ, જેને મનહર ઉધાસનો મખમલી કંઠ મળ્યો છે તે રજૂ કરું છું.
*
સ્વરઃ મનહર ઉધાસ

*
પ્રેમના પુષ્પો ભરીને રાખજો,
દિલ દીધું છે, સાચવીને રાખજો.

દુઃખના દિવસોમાં એ કામ આવી જશે,
એક ગઝલ મારી લખીને રાખજો.

રાત છે એના મિલનની દોસ્તો,
સાંજથી તારા ગણીને રાખજો.

દિલના કોઈ એકાદ ખૂણામાં ‘અદી’
નામ એનું કોતરીને રાખજો.

– અદી મિરઝા

3 Comments