Press "Enter" to skip to content

Tag: નરસિંહ મહેતા

રામ સભામાં અમે


ગુજરાતના આદિકવિ નરસિંહ મહેતાએ રચેલા અનેકવિધ પદોમાં એમની આધ્યાત્મિક અનુભૂતિઓને વણી લીધી છે. પ્રસ્તુત પ્રભાતિયામાં હરિનો રસ પીવાને કારણે થયેલી દશા વર્ણવવામાં આવી છે. જ્યારે પ્રભુનામનો નશો રોમેરોમ વ્યાપી જાય ત્યારે ભક્ત ભગવાન જેવો થઈ જાય છે. એને ઈશ્વરનું અખંડ સૌભાગ્ય પ્રાપ્ત થઈ જાય છે. તદ્રુપતાની એ ઉચ્ચોચ્ચ અવસ્થામાં નરસૈયો ઝૂમીને ગાય છે. તો આજે આપણે પણ હરિરસના પ્યાલાને પીને ઝૂમીએ અને કહીએ 2008 ને અલવિદા.
*

*
રામ સભામાં અમે રમવાને ગ્યાં’તાં
પસલી ભરીને રસ પીધો, હરિનો રસ પુરણ પાયો.

પહેલો પિયાલો મારા સદગુરૂએ પાયો,
બીજે પિયાલે રંગની હેલી રે
ત્રીજો પિયાલો મારાં રોમે રામે વ્યોપ્યો
ચોથે પિયાલે થઈ ઘેલી રે …રામ સભામાં

રસ બસ થઇ રંગ રસિયા સાથે,
વાત ન સુઝે બીજી વાટે રે
મોટા જોગેશ્વર જેને સ્વપ્ને ન આવે
તે મારા મંદિરીયામાં મ્હાલે રે … રામ સભામાં

અખંડ હેવાતણ મારા સદગુરૂએ દીધાં
અખંડ સૌભાગી અમને કીધાં રે
ભલે મળ્યા મહેતા નરસૈંઇના સ્વામી
દાસી પરમ સુખ પામી રે … રામ સભામાં

– નરસિંહ મહેતા

2 Comments

આજની ઘડી રળિયામણી


જીવનમાં જ્યારે ઈશ્વર કે ઈશ્વરતુલ્ય સંતપુરુષોનું આગમન થાય છે ત્યારે તે ઘડી રળિયામણી બની જાય છે. ગુજરાતના આદિકવિ નરસિંહ મહેતા પોતાની અનુભૂતિને શબ્દનો આકાર આપી કહે છે કે એના દર્શન માટે તો તન મન અને ધન આપી દઈએ તો પણ કમ છે. પોતાનો આનંદ વ્યક્ત કરવા નરસિંહ મહેતા પારંપરિક સ્વાગતના રૂપકો પ્રયોજે છે. બે ભિન્ન સ્વરોમાં માણો આ સદાબહાર ગીતને.
*
સ્વર – હેમા દેસાઈ

*

*
આજની ઘડી તે રળિયામણી
મારો વા’લાજી આવ્યાની વધામણી જી રે … આજની ઘડી

તરિયા તોરણ તો બંધાવિયા
મારા વ્હાલાજીને મોતીડે વધાવિયા જી રે … આજની ઘડી

લીલુડા વાંસ વઢાવીએ
મારા વ્હાલાજીનો મંડપ રચાવીએ જી રે … આજની ઘડી

પૂરો સોહાગણ સાથિયો
વ્હાલો આવે મલકતો હાથિયો જી રે …. આજની ઘડી

જમુનાનાં જળ મંગાવીએ
મારા વ્હાલાજીનાં ચરણ પખાળીએ જી રે … આજની ઘડી

સહુ સખીઓ મળીને વધાવીએ
મારા વ્હાલાજીના મંગળ ગવડાવીએ જી રે … આજની ઘડી

તન મન ધન ઓવારીએ
મારા વ્હાલાજીની આરતી ઉતારીએ જી રે … આજની ઘડી

રસ વાધ્યો અતિ મીઠડો
મ્હેતા નરસિંહનો સ્વામી દીઠડો જી રે … આજની ઘડી

– નરસિંહ મહેતા

9 Comments

વૈષ્ણવજન તો


ગુજરાતના આદિકવિ નરસિંહ મહેતાએ રચેલું અને રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીનું અતિપ્રિય ભજન ભાગ્યે જ કોઈ ગુજરાતીએ નહીં સાંભળ્યું હોય. વૈષ્ણવ જન એટલે કે વૈષ્ણવ સંપ્રદાયના નહીં પરંતુ પ્રભુના ભક્ત. ભજનમાં એક આદર્શ માનવ અને આદર્શ ભક્તના લક્ષણો વર્ણવવામાં આવ્યા છે. આ ભજન ગાંધીજીની સાંય પ્રાર્થનામાં અચૂક ગવાતું. સાંભળો લતા મંગેશકર, મન્ના ડે તથા આશિત દેસાઈના સ્વરોમાં.
*
સ્વર – લતા મંગેશકર

*
સ્વર – મન્ના ડે

*
સ્વર – આશિત દેસાઈ

*
વૈષ્ણવ જન તો તેને રે કહીયે, જે પીડ પરાઈ જાણે રે.
પરદુઃખે ઉપકાર કરે તોયે, મન અભિમાન ન આણે રે… વૈષ્ણવ જન

સકળ લોકમાં સહુને વંદે, નિંદા ન કરે કે’ની રે.
વાચ કાછ મન નિશ્ચલ રાખે, ધન ધન જનની તેની રે… વૈષ્ણવ જન

સમદ્રષ્ટિને તૃષ્ણા ત્યાગી, પરસ્ત્રી જેને માત રે.
જિહ્વા થકી અસત્ય ન બોલે, પરધન નવ ઝાલે હાથ રે… વૈષ્ણવ જન

મોહ માયા વ્યાપે નહિ જેને, દ્રઢ વૈરાગ્ય જેના મનમાં રે.
રામ નામ શું તાળી રે વાગી, સકળ તિરથ તેના તનમાં રે… વૈષ્ણવ જન

વણલોભી ને કપટરહિત છે, કામ ક્રોધ નિવાર્યા રે.
ભણે નરસૈયો તેનું દર્શન કરતા, કુળ ઈકોતેર તાર્યા રે… વૈષ્ણવ જન

– નરસિંહ મહેતા

17 Comments