વીરની તલવાર એના મ્યાનથી પરખાય છે,
સિદ્ધની સાચી અવસ્થા ધ્યાનથી પરખાય છે.
કાળજી, પરહેજ, સ્લાહો ને તબીબોની દવા,
અંતમાં દર્દીની તબિયત ભાનથી પરખાય છે.
વર્ષ વીત્યાની ગણતરીથી બધાને તોલ મા,
આદમીની ઉમ્ર એના જ્ઞાનથી પરખાય છે.
સખ્ત મહેનતની મહત્તા આજ પણ ઓછી નથી,
આદમી છોને મળ્યા સન્માનથી પરખાય છે.
એ જ આશાથી હજી હું જાઉં છું મસ્જીદ મહીં,
કમ-સે-કમ ત્યાં આદમી ઈમાનથી પરખાય છે.
આ બહર ને છંદ શીખવાના ઉધામા છોડ તું,
આખરે ‘ચાતક’ ગઝલ તો કાનથી પરખાય છે.
– દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’
11 Comments