આર્થિક અસમાનતા મિત્રતામાં આડે આવે છે ખરી ? આ પ્રશ્ન જ્યારે પણ પૂછાય છે ત્યારે કૃષ્ણ અને સુદામાની મૈત્રીનું ઉદાહરણ અવશ્ય અપાય છે. સાંદિપની ઋષિ પાસે ભગવાન કૃષ્ણ જ્યારે શિક્ષા લેવા ગયા ત્યારે સુદામા તેમના સહાધ્યાયી બનેલા. આશ્રમમાં તો બધા છાત્ર સરખા પરંતુ સમય જતાં ભગવાન કૃષ્ણ ઐશ્વર્યના સ્વામી બની દ્વારિકાના રાજમહેલમાં મહાલે છે તો સુદામાના નસીબે નિર્ધન દશામાં ઝૂંપડીમાં જીવન વિતાવવાનું આવે છે. સુદામાની પત્ની દરિદ્રતા દૂર કરવા સંતાનો ખાતર એક વાર બાળસખા કૃષ્ણની મુલાકાત લેવા વિનવે છે. સુદામા ભગવાન કૃષ્ણના મહેલ જાય છે… અને પછીની વાત જગજાહેર છે. એ અમર પ્રેમ, મૈત્રી અને મુલાકાતનું રોમાંચિત વર્ણન આ ગીતમાં થયેલ છે. એમાંય પુરુષોત્તમભાઈના સ્વરમાં (આલ્બમ-સુરાવલી) આ ગીત સાંભળી ઉન્માદ (બીજો શબ્દ સૂઝતો નથી!) થયા વિના ન રહે. વારંવાર સાંભળવું ગમે તેવું આ મધુરું ગીત માણો બે ભિન્ન સ્વરોમાં.
સ્વર- પુરુષોત્તમ ઉપાધ્યાય
*
*
નહીં રે જાણેલી, કદી નહીં રે માણેલી
જેની ગોઠડી તોડાય નહીં તોડી, સંતો રે એવી કૃષ્ણ સુદામાની જોડી.
દ્વારિકાના નાથનો ઉંચેરો મહેલ છે
દીન રે સુદામો આવી બારણે ઉભેલ છે
વ્હાલો ઝૂલે હિંડોળા ખાટ, રાણી રુક્ષ્મણીની સાથ
ત્યાં તો જાણી એવી વાત, સુદામો જુએ પ્રભુની વાટ
આવે શામળિયો સામેથી દોડી દોડી રે એવી કૃષ્ણ સુદામાની જોડી.
સાહ્યબી નિહાળીને સુદામો શરમાય છે
તાંદુલની પોટલી ધરતાં ખચકાય છે
વ્હાલો માંગી માંગી ખાય, ફાકે ચપટી ને હરખાય
કૌતુક જોનારાને થાય, એવું શું છે તાંદુલ માંહ્ય
માધવ મૂલવે મીઠપ હાથ જોડી જોડી રે એવી કૃષ્ણ સુદામાની જોડી.
– રચનાકાર (?)
8 Comments