Press "Enter" to skip to content

ભોમિયા વિના મારે ભમવા’તા ડુંગરા


આધુનિક ગુજરાતી સાહિત્યના પિતા સમાન ગણાતા ઉમાશંકર જોશીની આ સુપ્રસિદ્ધ રચના. મુક્ત પંખી બનીને વિહરવું, ઘરની બહાર નીકળી પડવું અને જંગલ તથા પર્વતોને ખૂંદી વળવાની કલ્પના કેટલી મધુરી છે. આજે જ્યારે ઓફિસ કે ઘરની ચાર દિવાલો વચ્ચે જ માણસનું મોટા ભાગનું જીવન વ્યતીત થઈ રહ્યું છે ત્યારે ભોમિયા વિના ભમવાની વાત બે ઘડી કાલ્પનિક સ્વર્ગમાં તાણી જાય છે. વાંચો કુદરતને ખોળે સોનેરી ક્ષણોમાં ખોવાઈ જવાનું આમંત્રણ.
*

*
ભોમિયા વિના મારે ભમવા’તા ડુંગરા,
જંગલની કુંજ કુંજ જોવી હતી;
જોવી’તી કોતરો ને જોવી’તી કંદરા,
રોતાં ઝરણાંની આંખ લ્હોવી હતી.

સૂના સરવરિયાની સોનેરી પાળે
હંસોની હાર મારે ગણવી હતી;
ડાળે ઝૂલંત કોક કોકિલાને માળે
અંતરની વેદના વણવી હતી.

એકલા આકાશ તળે ઊભીને એકલો
પડઘા ઉરબોલના ઝીલવા ગયો;
વેરાયા બોલ મારા, ફેલાયા આભમાં,
એકલો અટૂલો ઝાંખો પડ્યો.

આખો અવતાર મારે ભમવા ડુંગરિયા,
જંગલની કુંજ કુંજ જોવી ફરી;
ભોમિયા ભૂલે એવી ભમવી રે કંદરા,
અંતરની આંખડી લ્હોવી જરી.

– ઉમાશંકર જોશી

3 Comments

  1. Dipak Patel
    Dipak Patel July 16, 2014

    બહુ જ સુંદર રચના આભાર બહેન

  2. manvant patel
    manvant patel January 25, 2009

    મારુઁ અતિપ્રિય ગીત ! આભાર બહેના !

  3. dilip
    dilip January 25, 2009

    ખુબ સુન્દર રચનાનું રસપાન મિતીક્ષા તમે કરાવ્યું..વિવિધ વાંચનથી મનન સઘન થાય છે. ધન્યવાદ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.