Press "Enter" to skip to content

વીજળીને ચમકારે


વીજળીને ચમકારે મોતીડા પરોવો રે પાનબાઈ….આ એક પંક્તિથી ગુજરાતી સંતસાહિત્યમાં ઝબકારો કરનાર ગંગા સતી અને પાનબાઈનું નામ ગુજરાતીઓ માટે અજાણ્યું નથી. ભાવનગરના રાજપરા ગામમાં જન્મનાર ગંગાના લગ્ન સમળિયાના ગિરાસદાર કહળસંગ સાથે થયા હતા. લગ્ન વખતે તે કાળની રાજપૂત પરંપરા પ્રમાણે પાનબાઈ નામની કન્યાને સેવિકા તરીકે સાથે મોકલવામાં આવી હતી. લગભગ સમાન ઉંમરની પાનબાઈ ગંગાસતીને માટે અધ્યાત્મપંથની સહયાત્રી બની.
પ્રસ્તુત પદમાં ગંગાસતી માનવજીવનને વીજળીના ચમકારાની ઉપમા આપે છે. જેમ વીજળીનો ચમકારો ક્ષણિક હોય છે તેમ જીવન પણ ક્ષણિક છે. એમાં ઈશ્વરના નામનું મોતી પરોવવાનું છે. જો એ તક ચૂકી ગયા તો વીજળી થયા પછી અંધારું થઈ જાય એમ મૃત્યુ આવી પહોંચશે. વળી ભજનમાં ઉલ્લેખ છે કે એકવીસ હજાર છસ્સો કાળ ખાશે. તો એની પાછળ વૈજ્ઞાનિક ગણતરી છે. સામાન્ય રીતે આપણે દર મિનિટે 15 શ્વાસોશ્વાસ લેતા હોઈએ છીએ. તો આ ગણત્રી પ્રમાણે એક દિવસના 21,600 શ્વાસોશ્વાસ થાય. એટલે કે કાળ એ રીતે સમયને ખાઈ રહ્યો છે. અને આમ જ એક દિવસ શ્વાસ બંધ થઈ જશે એથી હરિનામનું મોતી પરોવી લેવાનું છે.
*
ફિલ્મ: ગંગા સતી (1979)

*
વીજળીને ચમકારે મોતીડાં પરોવો રે પાનબાઇ !
નહિતર અચાનક અંધારા થાશે જી;
જોત રે જોતાંમાં દિવસો વહી રે ગયા પાનબાઇ !
એકવીસ હજાર છસોને કાળ ખાશે જી … વીજળીને ચમકારે

જાણ્યા રે જેવી આ તો અજાણ છે રે વસ્તુ પાનબાઇ !
અધૂરિયાને નો કે’વાય જી,
ગુપત રસનો આ ખેલ છે અટપટો,
આંટી મેલો તો સમજાય જી … વીજળીને ચમકારે

મન રે મૂકીને તમે આવો રે મેદાનમાં પાનબાઇ !
જાણી લીયો જીવ કેરી જાત જી;
સજાતિ વિજાતિની જુગતિ બતાવું ને,
બીબે પાડી દઉં બીજી ભાત જી … વીજળીને ચમકારે

પિંડ રે બ્રહ્માંડથી પર છે ગુરુ પાનબાઇ !
તેનો રે દેખાડું તમને દેશજી,
ગંગા રે સતી એમ બોલિયાં રે સંતો,
ત્યાં નહિ માયાનો જરીયે લેશ જી … વીજળીને ચમકારે

– ગંગા સતી

11 Comments

  1. મિહિર કાછિઆ
    મિહિર કાછિઆ December 1, 2016

    ખુબ ખુબ આભાર આપનો………વર્ષો થી આ સુંદર ગીત વિવિધ ભારતી ના પ્રોગ્રામ ની શરૂઆત માં આવતું બાળપણ માં રોજ સંભાળતા …….ત્યારથી આ સરસમઝા નું ગીત હું શોધતો હતો……આજે આપનો ખરેખર ખુબ ખુબ આભાર માનું છું કે મારી વર્ષો ની શોધ તમે પૂરી કરી……..ફરી એક વાર ખુબ ખુબ આભાર

  2. Harsha
    Harsha October 23, 2010

    ગમ્યું .. આભાર.

  3. Vishnuprasad
    Vishnuprasad August 19, 2010

    સરસ . ગમ્યુ. આભાર.

    વિષ્ણુપ્રસાદ

  4. Bhagwatibhai
    Bhagwatibhai May 13, 2010

    Excellent. Writeup is informative and gives brief history. All are not aware abt the history. liked very much

  5. Rameshbhai Champaneri (Rashmanjan)
    Rameshbhai Champaneri (Rashmanjan) July 29, 2009

    ભારત દેશની ગરીમા એટલે પાનબાઈ. માત્ર પાનબાઈનુ એક ભજન જ માનવીને માણસ બનાવવા માટે પર્યાપ્ત છે.

    રમેશભાઈ ચાપાનેરી

  6. Hasmukh Konkani
    Hasmukh Konkani April 5, 2009

    જીવનની ક્ષણિકતા ને જાણ્યા એજ આભાર.

  7. Rashmi
    Rashmi March 28, 2009

    મારી પણ ઘણા વખતની ઈચ્છા પૂરી થઈ. ધન્યવાદ.

  8. pragnaju
    pragnaju November 7, 2008

    સુંદર ભજનનું સરસ રસ દર્શન

  9. Upasana
    Upasana November 6, 2008

    ઘણા વખતથી સાંભળવાની ઈચ્છા પૂરી થઈ! ધન્યવાદ.

  10. naraj
    naraj November 5, 2008

    સુંદર……….
    મીરાંનો વખ કટોરો રાધાનું એક આંસુ
    વીજળીને ચમકારે પાનબાને પા”શું

  11. priti
    priti November 5, 2008

    આ પદ ખૂબ સરસ છે. અને લખાણ પણ ખૂબ સરસ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.