Press "Enter" to skip to content

Category: ગીત

એવું રે અજાણ્યું સગપણ સાંભર્યું


કલ્પનાના વૈભવથી છલોછલ અને મઘમઘ સુવાસે તરબોળ એક અજાણ્યું સગપણ સાંભરે પછી… એ સ્વપ્નસૃષ્ટિમાં વિહાર કરાવતું કવિશ્રી માધવ રામાનુજનું આ મધુરું ગીત સાંભળીએ કવિતા કૃષ્ણમૂર્તિના સ્વરમાં.
*
સ્વર- કવિતા કૃષ્ણમૂર્તિ, સંગીત: શ્યામલ-સૌમિલ મુન્શી, આલ્બમ- હસ્તાક્ષર

*
એવું રે અજાણ્યું સગપણ સાંભર્યું, સોણલાની વાડી ઝાકમઝોળ;
કોણ રે ચૂંટે ને કોણ ચપટી ભરે; મઘમઘ સુવાસે તરબોળ,
સગપણ સાંભર્યું.

ક્યાં રે કિનારો, ક્યાં રે નાંગર્યા નજર્યુંના પડછાયા આમ;
અચરજ ઊગી ઊગી આથમે પછીયે પથરાતું નામ,
સગપણ સાંભર્યું.

ઝાકળ સરીખું ઝલમલ બારણું, પગલે પાંપણનું ફૂલ;
એક રે હોંકારે ઉઘડે આગળા ઓળઘોળ આયખાનું મૂલ;
સગપણ સાંભર્યું

– માધવ રામાનુજ

5 Comments

મને પાણીની જેમ કોઈ સ્પર્શે


લાગણીની ઝંખના માણસને હમેશા રહે છે. કોઈ પાણીની જેમ સ્પર્શે એ વાત જ કેટલી સંવેદનાથી ભરેલી છે. વીરુ પુરોહિતની આ લાગણીભીની રચના અધૂરા સંબંધોની સંવેદનાને ધાર કાઢી આપે છે. આપણા સંબંધ જાણે શીર્ષક વિનાની વારતા … કેટલું બધું કહી જાય છે. થોડા સમય પહેલાં આપણે માણેલી માધવ રામાનુજની રચના – પાસ પાસે તોયે કેટલાં જોજન .. યાદ આવ્યા વિના નથી રહેતી. માણો આ સુંદર ગીત અમર ભટ્ટના સ્વરાંકનમાં.
*

*
કે મને પાણીની જેમ કોઈ સ્પર્શે

આસપાસ દર્પણનો આભાસી તડકો,
તું સૂરજ ના હોવાની ધારણા
લાગણીનું રણમાં ચણાતું મકાન
પારદર્શકતા સગપણનાં બારણાં
પડછાતી દૂરતા નેવાંની ધારમાં,
ને રોજ ધોધમાર કોઈ વરસે..કે મને પાણીની જેમ કોઈ સ્પર્શે

રોજરોજ આંખ્યુંમાં મળવાનાં પક્ષીઓ
ઈચ્છાનું આભ લઈ આવતાં;
આપણા સંબંધ સખી એવા કહેવાય,
જાણે શીર્ષક વિનાની કોઈ વારતા
એકાદી આંગળીને બંસી બનાવી,
કોઈ ફૂંકો તો ગોકુળ સળવળશે … કે મને પાણીની જેમ કોઈ સ્પર્શે

– વીરુ પુરોહિત

5 Comments

ટેરવાનો સ્પર્શ


મિત્રો, ચાલો આજે માણીએ લાગણીમાં ઝબોળાયેલું ધ્રુવ ભટ્ટ રચિત એક મધુરું ગીત અમર ભટ્ટના સ્વરાંકનમાં.
*

*
ચાલ સખી, પાંદડીમાં ઝાકળના ટીપાંની જેમ ફરી જિંદગીને મૂકીએ,
ટેરવાનો સ્પર્શ એક ઘટના કહેવાય છે કે લાગણી ગણાય એમ પૂછીએ.

વેદના તો અડીખમ ઉભો કંઠાર, જતાં આવતાં જુવાળ ભલે કોતરે;
સુખ સાથે આપણો તો જળનો સંબંધ, ક્યાંક રેતી ઢાંકે ને ક્યાંક ઓસરે.
છીપલાની હોડીને શઢથી શણગાર ચાલ, કાંઠો છોડીને હવે ઝૂકીએ;
પાંદડીમાં ઝાકળનાં ટીપાંની જેમ, સખી ચાલ ફરી જિંદગીને મૂકીએ.

ચાંદનીને ચાંદનીનું નામ નતા દે’તા, એ વાતો અકબંધ મને યાદ છે;
વૃક્ષ પછી ડાળ પછી પંખીનો માળો, ને ઉપર આકાશ જેવો સાદ છે.
મૂળમાંથી ફૂટે ને ટોચ લગી જાય, એવી લાગણીને કેમ રે ઉવેખીએ;
ઝાકળશી જિંદગીને પાનની લીલાશ પરે, ચાલ સખી એક વાર મૂકીએ.

– ધ્રુવ ભટ્ટ

1 Comment

પાસેપાસે તો યે કેટલાં જોજન


સુખી અને પ્રસન્ન દાંપત્યજીવન સૌના નસીબમાં હોતું નથી. કેટલાક સંબંધો માત્ર ચાર ભીંત અને એક છતની નીચે રહેવા પૂરતાં જ સીમિત રહી જાય છે. પડખે સૂતાં હોય ને લાગે શમણાંનો સહવાસ..માં એ કરુણતાને કેટલી કમનીયતાથી શાબ્દિક અભિવ્યક્તિ મળી છે. માણો માધવ રામાનુજ કૃત સુંદર અને કરુણ ગીત ભૂપિન્દર સિંઘ અને મિતાલી મુખર્જીના સ્વરમાં.
*

*
પાસેપાસે તો યે કેટલાં જોજન દૂરનો આપણો વાસ;
જેમ કે ગગન સાવ અડોઅડ તો ય છેટાં નો ભાસ.

રાત દિનો સથવાર ને સામે,
મળવાનું તો કોઈ દાડો સુખ મળતું નથી;
આવકારાનું વન અડાબીડ,
બારણું ખોલી ફળિયામાં સળવળતું નથી;
આંસુને દઈ દીધો છે ભવનો કારાવાસ.

ઝાડથી ખરે પાંદડું,
એમાં કેટલાં કિરણ આથમ્યાનું સંભારણું હશે;
આપણી વચ્ચે આવજોની કોઈ ભીંત હશે,
કે યાદ જેવું કોઈ બારણું હશે;
પડખે સૂતાં હોય ને લાગે શમણાંનો સહવાસ.

– માધવ રામાનુજ

4 Comments

કૃષ્ણ સુદામાની જોડી


આર્થિક અસમાનતા મિત્રતામાં આડે આવે છે ખરી ? આ પ્રશ્ન જ્યારે પણ પૂછાય છે ત્યારે કૃષ્ણ અને સુદામાની મૈત્રીનું ઉદાહરણ અવશ્ય અપાય છે. સાંદિપની ઋષિ પાસે ભગવાન કૃષ્ણ જ્યારે શિક્ષા લેવા ગયા ત્યારે સુદામા તેમના સહાધ્યાયી બનેલા. આશ્રમમાં તો બધા છાત્ર સરખા પરંતુ સમય જતાં ભગવાન કૃષ્ણ ઐશ્વર્યના સ્વામી બની દ્વારિકાના રાજમહેલમાં મહાલે છે તો સુદામાના નસીબે નિર્ધન દશામાં ઝૂંપડીમાં જીવન વિતાવવાનું આવે છે. સુદામાની પત્ની દરિદ્રતા દૂર કરવા સંતાનો ખાતર એક વાર બાળસખા કૃષ્ણની મુલાકાત લેવા વિનવે છે. સુદામા ભગવાન કૃષ્ણના મહેલ જાય છે… અને પછીની વાત જગજાહેર છે. એ અમર પ્રેમ, મૈત્રી અને મુલાકાતનું રોમાંચિત વર્ણન આ ગીતમાં થયેલ છે. એમાંય પુરુષોત્તમભાઈના સ્વરમાં (આલ્બમ-સુરાવલી) આ ગીત સાંભળી ઉન્માદ (બીજો શબ્દ સૂઝતો નથી!) થયા વિના ન રહે. વારંવાર સાંભળવું ગમે તેવું આ મધુરું ગીત માણો બે ભિન્ન સ્વરોમાં.
સ્વર- પુરુષોત્તમ ઉપાધ્યાય

*

*
નહીં રે જાણેલી, કદી નહીં રે માણેલી
જેની ગોઠડી તોડાય નહીં તોડી, સંતો રે એવી કૃષ્ણ સુદામાની જોડી.

દ્વારિકાના નાથનો ઉંચેરો મહેલ છે
દીન રે સુદામો આવી બારણે ઉભેલ છે
વ્હાલો ઝૂલે હિંડોળા ખાટ, રાણી રુક્ષ્મણીની સાથ
ત્યાં તો જાણી એવી વાત, સુદામો જુએ પ્રભુની વાટ
આવે શામળિયો સામેથી દોડી દોડી રે એવી કૃષ્ણ સુદામાની જોડી.

સાહ્યબી નિહાળીને સુદામો શરમાય છે
તાંદુલની પોટલી ધરતાં ખચકાય છે
વ્હાલો માંગી માંગી ખાય, ફાકે ચપટી ને હરખાય
કૌતુક જોનારાને થાય, એવું શું છે તાંદુલ માંહ્ય
માધવ મૂલવે મીઠપ હાથ જોડી જોડી રે એવી કૃષ્ણ સુદામાની જોડી.

– રચનાકાર (?)

8 Comments

તને ગમે તે મને ગમે


મિત્રો, આજે સાંભળીએ પ્રણયની મધુરી પળોનું સુંદર આલેખન કરતી વિનોદ જોષીની એક મધુરી કૃતિ સુરેશ વાડકરના સ્વરમાં.
*

*
તને ગમે તે મને ગમે, પણ મને ગમે તે કોને ?
એક વાત તું મને ગમે તે, મને જ પૂછી જો ને

તું ઝાકળના ટીંપા વચ્ચે પરોઢ થઇ શરમાતી,
હું  કુંપળથી અડું તને, તું પરપોટો થઇ જાતી,
તને કહું કંઇ તે પહેલા તો તું કહી દેતી, છો ને … તને ગમે.

તારા મખમલ હોઠ ઉપર એક ચોમાસું જઇ બેઠું,
હું ઝળઝળિયા પહેરાવી એક શમણું ફોગટ વેઠું,
તું વરસે તો હું વરસું, પણ તું વરસાવે તો ને … તને ગમે.

-વિનોદ જોશી

4 Comments