Press "Enter" to skip to content

Category: ભજન

રામ સભામાં અમે


ગુજરાતના આદિકવિ નરસિંહ મહેતાએ રચેલા અનેકવિધ પદોમાં એમની આધ્યાત્મિક અનુભૂતિઓને વણી લીધી છે. પ્રસ્તુત પ્રભાતિયામાં હરિનો રસ પીવાને કારણે થયેલી દશા વર્ણવવામાં આવી છે. જ્યારે પ્રભુનામનો નશો રોમેરોમ વ્યાપી જાય ત્યારે ભક્ત ભગવાન જેવો થઈ જાય છે. એને ઈશ્વરનું અખંડ સૌભાગ્ય પ્રાપ્ત થઈ જાય છે. તદ્રુપતાની એ ઉચ્ચોચ્ચ અવસ્થામાં નરસૈયો ઝૂમીને ગાય છે. તો આજે આપણે પણ હરિરસના પ્યાલાને પીને ઝૂમીએ અને કહીએ 2008 ને અલવિદા.
*

*
રામ સભામાં અમે રમવાને ગ્યાં’તાં
પસલી ભરીને રસ પીધો, હરિનો રસ પુરણ પાયો.

પહેલો પિયાલો મારા સદગુરૂએ પાયો,
બીજે પિયાલે રંગની હેલી રે
ત્રીજો પિયાલો મારાં રોમે રામે વ્યોપ્યો
ચોથે પિયાલે થઈ ઘેલી રે …રામ સભામાં

રસ બસ થઇ રંગ રસિયા સાથે,
વાત ન સુઝે બીજી વાટે રે
મોટા જોગેશ્વર જેને સ્વપ્ને ન આવે
તે મારા મંદિરીયામાં મ્હાલે રે … રામ સભામાં

અખંડ હેવાતણ મારા સદગુરૂએ દીધાં
અખંડ સૌભાગી અમને કીધાં રે
ભલે મળ્યા મહેતા નરસૈંઇના સ્વામી
દાસી પરમ સુખ પામી રે … રામ સભામાં

– નરસિંહ મહેતા

2 Comments

મેરુ તો ડગે


વીજળીના ચમકારે મોતીડા પરોવો – એ એક ભજન દ્વારા ગુજરાતી સંતસાહિત્યના આકાશમાં ચમકારો કરનાર ગંગા સતીના ભજનોથી આપણે અજાણ નથી. આજે ગંગા સતીનું એવું જ એક અન્ય પ્રસિદ્ધ ભજન સાંભળીએ. ઈશ્વરના માર્ગે ચાલવાનો પ્રામાણિક પ્રયત્ન કરનાર અને ચાલીને અનુભૂતિથી સંપન્ન બનનાર વ્યક્તિના લક્ષણો વિશે કેટલી સરળ ભાષામાં ગંગાસતીએ કહ્યું કે જેનું મન સુખ-દુઃખ, પ્રસંશા-નિંદા, સારા-નરસાં કોઈપણ સંજોગોમાં સ્થિર અને સમ રહે તેને ખરો હરિનો જન જાણવો.
*

*
મેરુ તો ડગે જેનાં મન ના ડગે મરને ભાંગી પડે બ્રહ્માંડજી;
વિપત્તિ પડે તોય વણસે નહીં; સોઈ હરિજનનાં પ્રમાણજી – મેરુ.

ચિત્તની વૃતિ જેની સદાય નિરમળ ને કોઈની કરે નહિ આશજી;
દાન દેવે પણ રહે અજાસી, રાખે વચનમાં વિશ્વાસ રે જી – મેરુ.

હરખ ને શોકની આવે નહી હેડકી, આઠ પહોર રહે આનંદજી,
નિત્ય રે નાચે સત્સંગમાં ને તોડે માયા કેરા ફંદજી – મેરુ.

તન મન ધન જેણે પ્રભુને સમર્પ્યાં, તે નામ નિજારી નર ને નારજી,
એકાંતે બેસીને આરાધના માંડે તો, અલખ પધારે એને દ્વારજી – મેરુ.

સતગુરુ વચનમાં શૂરા થઈ ચાલે, શીશ તો કર્યાં કુરબાન રે,
સંકલ્પ વિકલ્પ એકે નહિ ઉરમાં, જેણે મેલ્યાં અંતરનાં માન રે – મેરુ.

સંગત કરો તો તમે એવાની કરજો, જે ભજનમાં રહે ભરપુરજી,
ગંગા સતી એમ બોલિયાં, જેને નેણ તે વરસે ઝાઝાં નૂરજી – મેરુ.

– ગંગા સતી

2 Comments

ઊંચી મેડી તે મારા સંતની રે


*
સ્વર – હંસા દવે

*
ઊંચી મેડી તે મારા સંતની રે, મેં તો મા’લી ન જાણી રામ.. હો રામ..
ઊંચી મેડી તે મારા સંતની રે, મેં તો મા’લી ન જાણી રામ..

અમને તે તેડાં શીદ મોકલ્યાં, કે મારો પીંડ છે કાચો રામ,
મોંઘા મૂલની મારી ચુંદડી, મેં તો મા’લી ન જાણી રામ.. હો રામ..
ઊંચી મેડી તે મારા સંતની રે….

અડધાં પેહર્યાં અડધાં પાથર્યાં, અડધાં ઉપર ઓઢાડ્યાં રામ
ચારે છેડે ચારે જણાં, તોયે ડગમગ થાયે રામ.. હો રામ..
ઊંચી મેડી તે મારા સંતની રે….

નથી તરાપો, નથી ડુંગરા, નથી ઉતર્યાનો આરો રામ
નરસિંહ મહેતાના સ્વામી શામળા, પ્રભુ પાર ઉતારો રામ.. હો રામ..
ઊંચી મેડી તે મારા સંતની રે….

– નરસિંહ મહેતા

10 Comments

આજની ઘડી રળિયામણી


જીવનમાં જ્યારે ઈશ્વર કે ઈશ્વરતુલ્ય સંતપુરુષોનું આગમન થાય છે ત્યારે તે ઘડી રળિયામણી બની જાય છે. ગુજરાતના આદિકવિ નરસિંહ મહેતા પોતાની અનુભૂતિને શબ્દનો આકાર આપી કહે છે કે એના દર્શન માટે તો તન મન અને ધન આપી દઈએ તો પણ કમ છે. પોતાનો આનંદ વ્યક્ત કરવા નરસિંહ મહેતા પારંપરિક સ્વાગતના રૂપકો પ્રયોજે છે. બે ભિન્ન સ્વરોમાં માણો આ સદાબહાર ગીતને.
*
સ્વર – હેમા દેસાઈ

*

*
આજની ઘડી તે રળિયામણી
મારો વા’લાજી આવ્યાની વધામણી જી રે … આજની ઘડી

તરિયા તોરણ તો બંધાવિયા
મારા વ્હાલાજીને મોતીડે વધાવિયા જી રે … આજની ઘડી

લીલુડા વાંસ વઢાવીએ
મારા વ્હાલાજીનો મંડપ રચાવીએ જી રે … આજની ઘડી

પૂરો સોહાગણ સાથિયો
વ્હાલો આવે મલકતો હાથિયો જી રે …. આજની ઘડી

જમુનાનાં જળ મંગાવીએ
મારા વ્હાલાજીનાં ચરણ પખાળીએ જી રે … આજની ઘડી

સહુ સખીઓ મળીને વધાવીએ
મારા વ્હાલાજીના મંગળ ગવડાવીએ જી રે … આજની ઘડી

તન મન ધન ઓવારીએ
મારા વ્હાલાજીની આરતી ઉતારીએ જી રે … આજની ઘડી

રસ વાધ્યો અતિ મીઠડો
મ્હેતા નરસિંહનો સ્વામી દીઠડો જી રે … આજની ઘડી

– નરસિંહ મહેતા

9 Comments

બંધ બારણે ટકોરા


શાસ્ત્રોના વચનો અને સંતોની અનુભવવાણી એ વાતની સાક્ષી પૂરે છે કે જો સાધક ખરા હૃદયથી પ્રભુને પોકારે તો પ્રભુ જરૂર પ્રગટ થાય. પણ મારી-તમારી સાથે ખરેખર આવું બની શકે ? અને કદાચ એમ બને તો કેવું ભાવજગત સર્જાય … શું માગવાની ઈચ્છા થાય તેનો આસ્વાદ આ ભજનમાંથી મળે છે. ગુજરાતના સુપ્રસિદ્ધ સંત પૂ. શ્રી મોટાના મૌનમંદિરના નિવાસ દરમ્યાન એકાંતિક પળોમાં મા સર્વેશ્વરી દ્વારા રચાયેલ આ પદને માણો પુષ્પા છાયાના સ્વરમાં.
*
સ્વર- પુષ્પા છાયા, સંગીત: ઉપેન્દ્ર ત્રિવેદી

*
બંધ બારણે ટકોરા મારે તો
શ્યામ તને સાચો ગણું …

બારણાં ઉઘાડી આવે જો અંદર
બેસે જો મારી પાસે….તો શ્યામ તને સાચો ગણું

રાહ જોઇને થાકી નથી હું
આવજે જરૂરથી આજે…તો શ્યામ તને સાચો ગણું

પોકાર મારો સાંભળીને સાચે
દોડી આવે મારી પાસે….તો શ્યામ તને સાચો ગણું

માવડી બનીને હીંચકે બેસે
ખોળે મુકાવે માથું….તો શ્યામ તને સાચો ગણું

પાપી જીવને પાવન કરવા
માનવ રૂપે પધારે…તો શ્યામ તને સાચો ગણું

ધન વૈભવ કે સિદ્ધિ ના માગું
દર્શન આપે પ્રભુ તારું…તો શ્યામ તને સાચો ગણું

– મા સર્વેશ્વરી (સૌજન્ય: સ્વર્ગારોહણ)

4 Comments

વીજળીને ચમકારે


વીજળીને ચમકારે મોતીડા પરોવો રે પાનબાઈ….આ એક પંક્તિથી ગુજરાતી સંતસાહિત્યમાં ઝબકારો કરનાર ગંગા સતી અને પાનબાઈનું નામ ગુજરાતીઓ માટે અજાણ્યું નથી. ભાવનગરના રાજપરા ગામમાં જન્મનાર ગંગાના લગ્ન સમળિયાના ગિરાસદાર કહળસંગ સાથે થયા હતા. લગ્ન વખતે તે કાળની રાજપૂત પરંપરા પ્રમાણે પાનબાઈ નામની કન્યાને સેવિકા તરીકે સાથે મોકલવામાં આવી હતી. લગભગ સમાન ઉંમરની પાનબાઈ ગંગાસતીને માટે અધ્યાત્મપંથની સહયાત્રી બની.
પ્રસ્તુત પદમાં ગંગાસતી માનવજીવનને વીજળીના ચમકારાની ઉપમા આપે છે. જેમ વીજળીનો ચમકારો ક્ષણિક હોય છે તેમ જીવન પણ ક્ષણિક છે. એમાં ઈશ્વરના નામનું મોતી પરોવવાનું છે. જો એ તક ચૂકી ગયા તો વીજળી થયા પછી અંધારું થઈ જાય એમ મૃત્યુ આવી પહોંચશે. વળી ભજનમાં ઉલ્લેખ છે કે એકવીસ હજાર છસ્સો કાળ ખાશે. તો એની પાછળ વૈજ્ઞાનિક ગણતરી છે. સામાન્ય રીતે આપણે દર મિનિટે 15 શ્વાસોશ્વાસ લેતા હોઈએ છીએ. તો આ ગણત્રી પ્રમાણે એક દિવસના 21,600 શ્વાસોશ્વાસ થાય. એટલે કે કાળ એ રીતે સમયને ખાઈ રહ્યો છે. અને આમ જ એક દિવસ શ્વાસ બંધ થઈ જશે એથી હરિનામનું મોતી પરોવી લેવાનું છે.
*
ફિલ્મ: ગંગા સતી (1979)

*
વીજળીને ચમકારે મોતીડાં પરોવો રે પાનબાઇ !
નહિતર અચાનક અંધારા થાશે જી;
જોત રે જોતાંમાં દિવસો વહી રે ગયા પાનબાઇ !
એકવીસ હજાર છસોને કાળ ખાશે જી … વીજળીને ચમકારે

જાણ્યા રે જેવી આ તો અજાણ છે રે વસ્તુ પાનબાઇ !
અધૂરિયાને નો કે’વાય જી,
ગુપત રસનો આ ખેલ છે અટપટો,
આંટી મેલો તો સમજાય જી … વીજળીને ચમકારે

મન રે મૂકીને તમે આવો રે મેદાનમાં પાનબાઇ !
જાણી લીયો જીવ કેરી જાત જી;
સજાતિ વિજાતિની જુગતિ બતાવું ને,
બીબે પાડી દઉં બીજી ભાત જી … વીજળીને ચમકારે

પિંડ રે બ્રહ્માંડથી પર છે ગુરુ પાનબાઇ !
તેનો રે દેખાડું તમને દેશજી,
ગંગા રે સતી એમ બોલિયાં રે સંતો,
ત્યાં નહિ માયાનો જરીયે લેશ જી … વીજળીને ચમકારે

– ગંગા સતી

11 Comments