આજે આદિલ મન્સૂરીની એક સુંદર ગઝલ મનહર ઉધાસના સ્વરમાં.
*
*
દિલને ગમતીલો ઘાવ ત્યાં ઘેરો ન મળ્યો
માત્ર એકાંત મળ્યું, કોઈ ઉમેરો ન મળ્યો
આપણા યુગનું આ કમભાગ્ય છે કેવું ભારે
કે ગયા ચાંદ સુધી ને કોઈ ચહેરો ન મળ્યો.
*
આપનું મુખ જોઇ મનમાં થાય છે,
ચાંદ પર લોકો અમસ્તા જાય છે.
જાગવાનું મન ઘણુંયે થાય છે.
આંખ ખોલું છું તો સપનાં જાય છે.
આજે એક નજમ. પ્રિયતમા પ્રેમીને એવું અવારનવાર કહેતી નજરે પડે છે કે હું કેવી લાગું છું તે કહો. પણ આ વાત એક કવિ-એક શાયરની છે. એની પ્રિયતમા એને કહે છે કે તમે મારું વર્ણન કરો. સભાઓમાં અન્ય નારીઓનું વર્ણન કરીને વાહ વાહ મેળવનાર શાયરના હૃદયમાં ચક્રવાત સર્જાય છે. જે રૂપકોના પ્રણેતા હોય, જેની પાસે ઉપમાઓ તાલીમ લેતી હોય, એવી સુંદરતાની મૂર્તિ સમાન પ્રિયતમાના વર્ણન માટે શબ્દો ક્યાંથી શોધી લાવવા ? પણ સુંદરતા સાથે સુંદર હૃદયની અધિપતિ એવી એની પ્રિયતમા એના સરળ અને સીધા વર્ણનને સાંભળીને ઝૂમી ઉઠે છે ! સૈફની આ સુંદર રચના મનહર ઉધાસના સ્વરમાં.
*
આલ્બમ – આનંદ
મિત્રો, આજે મરીઝની એક સુંદર ગઝલ. પ્રેમપંથે સૌથી મુશ્કેલ પળ પ્રેમના એકરારની હોય છે. કેટલાય પ્રેમીઓ સામેથી જવાબ ના મળવાના ભયને કારણે પ્રેમનો એકરાર કરી શકતા નથી. મરીઝ કહે છે કે હું હા જ હોય એમ નથી ઈચ્છતો. કદાચ ના હોય તો પણ એમાં વ્યથા હોવી જોઈએ. કેટલી અદભુત વાત ! સાંભળો આ સુંદર ગઝલ મનહર ઉધાસના સ્વરમાં.
*
*
હું ક્યાં કહું છું આપની ‘હા’ હોવી જોઈએ,
પણ ના કહો છો એમાં વ્યથા હોવી જોઈએ.
પહેલી નજરનો પ્રેમ ઘણીવાર એકતરફી હોય છે. અર્થાત્ એક વ્યક્તિના હૃદયમાં સંવેદન થાય છે પણ સામેની વ્યક્તિના હૃદયમાં એનો પ્રત્યાઘાત પડતો નથી. પણ એ જ તો પ્રેમની ખૂબી છે. પ્રેમમાં દિલ એવાનું ગુલામ થઈ જાય છે જે એના નથી થયેલાં હોતા. તો અંતિમ પંક્તિમાં મૃત્યુ પછીનું દેખાવા માટે કરાતું રુદન કવિને કઠે છે. કારણ જે વ્યક્તિઓ જીવનમાં દુઃખનું કારણ બની હોય છે તે મૃત્યુ પછી મગરના આંસુ સારતી દેખાય છે. માણો ‘બેફામ’ની આ સુંદર રચના મનહર ઉધાસને કંઠે.
*
આલ્બમ: સૂરજ ઢળતી સાંજનો
*
ઓ હૃદય ! તેં પણ ભલા કેવો ફસાવ્યો છે મને ?
જે નથી મારાં બન્યાં, એનો બનાવ્યો છે મને !
સાથ આપો કે ન આપો એ ખુશી છે આપની,
આપનો ઉપકાર મારગ તો બતાવ્યો છે મને.
સાવ સહેલું છે તમે પણ એ રીતે ભૂલી શકો;
કે તમારા પ્રેમમાં મેં તો ભુલાવ્યો છે મને.
મોટા થયા પછી સૌથી વધુ સાંભરતી વસ્તુ બચપણ છે. લખોટી, ભમરડા, ગિલ્લી-દંડા, પત્તાં, ચાકનાં ટુકડાં, દોસ્તદારો સાથે કલાકો રમવાનું અને એવું કંઈ કેટલુંય એ મજાની દુનિયામાં હતું. દુનિયાદારીના બોજથી વિહોણાં એ દિવસો મોટા થવાની લ્હાયમાં ઈચ્છાએ કે અનિચ્છાએ પાછળ છૂટી ગયા. કૈલાસ પંડીતે એનું અદભુત ચિત્રણ કર્યું છે. સ્વચ્છ ભીંતો વિધવા જેવી લાગવી, ચાદર બાળવિહોણી માતા જેવી લાગવી .. માં અભિવ્યક્તિ શિખર પર હોય એમ લાગે છે. માણો કૈલાસ પંડીતની આ સુંદર નજમને મનહર ઉધાસના સ્વરમાં.
ઘરની સઘળી વસ્તુ મરી ગઇ, બહુ સુના છે ઘરના ખૂણા
શાંત ઉભા છે દ્વારના પડદા, બંધ પડ્યા છે મેજના ખાના
રોઇ રહ્યા છે સઘળાં રમકડાં …
સ્વચ્છ પડેલી ભીંતો ઘરની, લાગે જાણે વિધવા થઇ ગઇ
બિસ્તર કેરી ચાદર જાણે, બાળ વિહોણી માતા થઇ ગઇ
કોઇ દિ’ મેં શોધી નો’તી, તો યે ખુશીઓ મળતી’તી
લાદી ઉપર સૂતો તો ને આંખો મારી ઢળતી’તી
મારી વાતો દુનિયા આખી મમતાથી સાંભળતી’તી
ખળખળ વહેતા ઠંડા જળમાં છબછબિયાં મેં કિધા’તા
મારા કપડા મારા હાથે ભીંજવી મેં તો લીધા’તા
સાગર કેરા ખારા પાણી કંઇક વખત મેં પીધા’તા
કોણે આવા સુંદર દિવસો બચપણ માંહે દિધા’તા
સંબંધને નામ આપવું જ પડે એવું થોડું છે ? સમાજ ભલે સંબંધોને લેબલ લગાવે પણ એવા કોઈપણ નામ વગરના સંબંધે પણ મળી શકાય, હૃદયના ભાવોની આપ-લે કરી શકાય, એકબીજાના મનના ભાવોને વાંચી શકાય. હા એમાં ઘણી રુકાવટો આવવાની. પરંતુ એમ વિરોધો અને વિઘ્નોને પાર કર્યા વગર કોઈને ઇપ્સિત વસ્તુ કદી મળી છે ? તો ચાલ મળીએ … પરંતુ અંતની કડીમાં એ પ્રસ્તાવનો ઉત્તર મળતો નથી…. કદાચ હજુ કવિ સમયથી આગળ છે કે સામેના પાત્રની કોઈ મજબૂરી. નક્કી આપણે કરવાનું છે. ભાવની અભિવ્યક્તિ માટે શબ્દોના ભપકાની જરૂર નથી એના પુરાવા રૂપ આ સુંદર રચના માણો મનહર ઉધાસના સ્વરમાં.
*
*
ચાલ મળીએ કોઇ પણ કારણ વિના,
રાખીએ સંબંધ કંઇ સગપણ વિના.
એક બીજાને સમજીએ આપણે,
કોઇ પણ સંકોચ કે મુંઝવણ વિના.
કોઇને પણ ક્યાં મળી છે મંઝિલો,
કોઇ પણ અવરોધ કે અડચણ વિના.
આપ તો સમજીને કંઇ બોલ્યા નહીં,
મેં જ બસ બોલ્યા કર્યું, સમજણ વિના.