Press "Enter" to skip to content

Category: રચયિતા

લઘુકાવ્યો

ઓટલીની ધૂળ સાથે પ્રીતની ગાંઠો બાંધીને
ઝૂંપડે હિલોળાતું અને લંગોટે લહેરાતું બાળક
અને
મખમલી તળાઈમાં આળોટી
પ્લાસ્ટિકની બોટલમાંથી કૃત્રિમતા ચૂસ્યા કરતું,
રોશની અને ઘોંઘાટમાં ગૂંગળાતું બાળક…
બંને બાળક લગભગ સરખાં જ છે
બંને હસે-રડે-શ્વસે-જીવે છે
ફેર માત્ર એટલો જ છે કે
પહેલું ગરીબ અને બીજું અમીર …
ઓહ સોરી ! ભૂલ થઈ ગઈ !!
પહેલું અમીર અને બીજું ગરીબ છે !!!
*
મારી ડાયરીને પહેલે પાને
તેં કરેલા હસ્તાક્ષરમાં દાખલ થયા પછી,
દોડીને મારા વિચારો બહાર નીકળે છે ત્યારે …
બની ગઈ હોય એક કવિતા !!!
*
‘તારા હોવા વિશે’ થિસીસ લખીને
હું પી. એચ. ડી થઈ ગયો,
અને તને ખબર પણ ન પડી ? !!!
*
એક સાંજે તું
ત્યાં તારા શિડ્યૂલ્સ પ્રમાણે
કેન્વાસ પર પીંછી ફેરવતી હશે …
બરાબર તે જ સમયે
હું જોઈ શકેલો
ક્ષિતિજ પર ફૂટી આવેલી રંગીન ટશરોને … !!!
*
તારું નામ લખી હવામાં ફેંકેલી ચબરખી
જમીનને અડે તે પહેલાં તો
બની જાય સોનેરી પતંગિયું !

– જયંત દેસાઈ (શબદ્ માંથી)

1 Comment

હું રસ્તે રઝળતી વાર્તા


જે દેશમાં નારીને નારાયણી કહી પૂજવામાં આવે તે જ દેશમાં નારીના દેહનો વ્યાપાર થાય છે તે કમનસીબી નથી શું ? પુરુષના સર્જનનું નિમિત્ત બનનાર સ્ત્રી પુરુષને હાથે જ બજારમાં લીલામ થાય એનાથી વધુ દુઃખદ વાત શું હોઈ શકે. એક નારીની વેદના વ્યક્ત કરતું આ ધારદાર અને દર્દીલું ગીત હૈયાને હચમચાવી જાય તેવું છે. સાંભળો લતા મંગેશકરના કંઠે અવિનાશભાઈનું એક વધુ અમર સર્જન.
*
ફિલ્મ – મહેંદી રંગ લાગ્યો (૧૯૬૦), સ્વર- લતા મંગેશકર

*
હું હરતી ફરતી રસ્તે રઝળતી વાર્તા
નિરાધાર નારી ધારી મને આંખ્યું ના મચકારતા,
હું હરતી ફરતી રસ્તે રઝળતી વાર્તા … હું રસ્તે રઝળતી

હું એ સીતા છું રામચંદ્રની વનમાં વિછુડાયેલી
હું શકુંતલા છું દુષ્યંતની પળમાં વિખરાયેલી
હું સતી અહલ્યા …
સતી અહલ્યા થઈને શલ્યા વન વેરાન પડેલી
હું દ્રૌપદી છું નિજ પતિને હાથે રમતે મૂકાયેલી
આ ભેદ-ભરમથી ભરપૂર નયના જીવતાં આંસુ સારતાં …. હું રસ્તે રઝળતી

જગ સંબોધે ‘જગદંબા’ કહી કોઈ નથી પૂજારી
અરે! પૂજારીના પહેરવેશમાં જોયા મેં શિકારી
ટગર-ટગર શું જુઓ છો હું સર્જનની કરનારી
આજ મૂર્તિમંત વિસર્જન થઈને માંગું ભીખ ભિખારી
હું સવાલ છું, હું જવાબ છું, જેને કોઈ નથી વિચારતા … હું રસ્તે રઝળતી

– અવિનાશ વ્યાસ

7 Comments

નહીં હોય ચંદાનું ઘાયલ જીગર તો


શૂન્ય પાલનપુરીની એક અદભૂત રચના મનહર ઉધાસના સ્વરમાં.
*
આલ્બમ – અરમાન

*
ડંખ દિલ પર કાળ કંટકના સહન કીધાં વગર
પ્રેમ કેરા પુષ્પને ચૂમી શકે ના કો અધર
કાંસકીને જો કે એના તનનાં સો ચીરાં થયા,
તો જ પામી સ્થાન જઈને એ પ્રિયાની ઝુલ્ફ પર.
*
નહીં હોય ચંદાનું ઘાયલ જીગર તો અલૌકિક પ્રણયની કદર કોણ કરશે
સિતારા બની જો ચમકશે ન આંસુ, જગે પ્રેમગાથા અમર કોણ કરશે.

સમજવો નથી સાર કૈં જિંદગીનો કે સમજીને સુખથી બસર કોણ કરશે
છિપાવી ગયું પ્યાસ મૃગલું જો એની તો મૃગજળની સામે નજર કોણ કરશે.

નથી કોઈ પણ માર્ગદર્શક અમારો, નથી ક્યાંય પણ કોઈ મંઝિલ અમારી,
મુસીબત ઉઠાવી ફકત મોજ ખાતર, અમારી અદાથી સફર કોણ કરશે.

પીવાડો ગગન ડોકથી આંખ ઢાળી, અમારી તરસ કેરો ઉપકાર માની,
ભરેલી હશે જો અમારી નજર તો, તમારી નજર પર નજર કોણ કરશે.

નજર રૂપની એટલે એક પારો, હૃદય પ્રેમનું એટલે એક જ્વાળા,
સમાવ્યો છે પારો અમે આગ માંહે, જીગર ‘શૂન્ય’ એવું અવર કોણ કરશે.

– ‘શૂન્ય’ પાલનપુરી

10 Comments

નારાયણનું નામ જ લેતાં


હિરણ્યકશિપુની મનાઈ છતાં પ્રહલાદે ભગવાનનું સ્મરણ ન છોડ્યું. ભરતે માતા કૈકેયીનો ત્યાગ કર્યો પણ રામનું નામ ન છોડ્યું, એવા અનેક દાખલા ઇતિહાસમાં મોજૂદ છે. ઈશ્વરનું સ્મરણ, મનન અને નિદિધ્યાસન કરવામાં જે બાધારૂપ હોય તેનો ત્યાગ કરવો જોઈએ – એવો સંદેશ આપતું આપણા આદિકવિ નરસિંહ મહેતાનું આ સુંદર ભજન સાંભળીએ વિવિધ સ્વરોમાં.
*

*

*

*
નારાયણનું નામ જ લેતાં, વારે તેને તજીયે રે;
મનસા વાચા કર્મણા કરીને, લક્ષ્મીવરને ભજીયે રે.

કુળને તજીયે, કુટુંબને તજીયે, તજીયે મા ને બાપ રે;
ભગિની-સુત-દારાને તજીયે, જેમ તજે કંચુકી સાપ રે … નારાયણનું નામ.

પ્રથમ પિતા પ્રહલાદે તજીયો, નવ તજીયું હરિનું નામ રે;
ભરત શત્રુઘ્ને તજી જનેતા, નવ તજીયા શ્રીરામ રે … નારાયણનું નામ.

ઋષિપત્નિએ શ્રીહરિ કાજે, તજીયા નિજ ભરથાર રે;
તેમાં તેનું કાંઈયે ન ગયું, પામી પદારથ ચાર રે … નારાયણનું નામ.

વ્રજવનિતા વિઠ્ઠલને કાજે, સર્વ તજી વન ચાલી રે;
ભણે ‘નરસૈંયો’ વૃંદાવનમાં, મોહન સાથે મ્હાલી રે … નારાયણનું નામ.

– નરસિંહ મહેતા (સાભાર – સ્વર્ગારોહણ )

6 Comments

ઉમર ખૈયામની રુબાઈઓ – 8


મિત્રો, ઘણાં દિવસ બાદ આજે ફરી એકવાર ઉમર ખૈયામની રુબાઈઓ માણીએ. એમાં છુપાયેલ ગહન અર્થ અને તત્વજ્ઞાનમાં ડૂબકી માર્યા પછી વાહ બોલવાનું જ શેષ રહે. ખરું ને ?

આ તો છે શાપિત મુસાફરખાનું ઓ નાદાન નર,
એની માયામાં ન લપટાજે થઇને બેખબર;
થાકથી લાચાર થઇ બેસી જવા ચાહીશ ત્યાં,
હાથ ઝાલી બેરહમ મૃત્યુ કહેશે, “ચાલ મર”.
*
કાળની વણઝાર ચાલી જાય છે, ચાલી જશે,
પ્રાણ થઇ જાશે પલાયન, ખોળિયું ખાલી થશે;
ખુશ રહે કે જેટલાં મસ્તક જુએ છે તું અહીં,
એક દિવસ એ બધાં કુંભારના ચરણે હશે.
*
ફૂલ કે’ છે “કેટલું સુંદર છે આ મારું વદન !
તે છતાં દુનિયા કરે છે આટલું શાને દમન ?”
દિવ્ય-ભાષી બુલબુલે દીધો તરત એનો જવાબ,
“એક દિનના સ્મિતનો બદલો છે વર્ષોનું રુદન !”
*
આ સકળ બ્રહ્માંડને સમજી લો એક ફાનસ વિરાટ,
પૃથ્વી એનો રમ્ય ગોળો, સૂર્ય એની દિવ્ય વાટ;
આપણે સૌ તેજ-છાયાથી વિભૂષિત ચિત્ર સમ,
ઘૂમતા લઇને અગમ ભાવિનો અંતરમાં ઉચાટ.
*
જગ-નિયંતા એની સત્તા જો મને સોંપે લગાર,
છીનવી લઉં ઋત કનેથી ભાગ્યનો સૌ કારભાર;
એ પછી દુનિયા નવી એવી રચું કે, જે મહીં,
સર્વ જીવો મન મુજબ લૂંટી શકે જીવન-બહાર.

– ઉમર ખૈયામ (અનુ. શૂન્ય પાલનપુરી)

4 Comments

ઉપેક્ષામાં નહિ તો


મિત્રો, આજે માણીએ જવાહર બક્ષી સાહેબની એક મજાની ગઝલ પુરુષોત્તમ ઉપાધ્યાયના સ્વરમાં.
*
આલ્બમ-ઈર્શાદ

*
ઉપેક્ષામાં નહિ તો બીજું તથ્ય શું છે, છે બસ એક એની મનાનો અનુભવ,
મળ્યાનો વળી બીજો આનંદ શું છે, સિવાય એક એની રજાનો અનુભવ.

હવે જો હું માનું તો ખોટું નથી, કે હતું એને મારા તરફ પ્રેમ જેવું,
ગમે તેમ હો પણ મને છોડી દઈને, કરે છે એ કોઈ ગુન્હાનો અનુભવ.

કદાચિત્ તને ભૂલવામાં મજા હો, એ માની ઘટાડ્યે ગયો યાદ તારી,
હજી પણ મને યાદ આવી રહ્યો છે, તને ભૂલવાની દશાનો અનુભવ.

કદી હું તને મેળવી પણ ચૂક્યો છું, એ ત્યારે જ સાચી પ્રતીતી તો થઈ’તી,
મને જે ક્ષણે થઈ ગયો’તો અચાનક, તને ક્યાંક ખોઈ દીધાનો અનુભવ.

મેં હમદર્દીની દોસ્ત તારીય પાસે, પ્રથમથી જ ક્યાં કંઈ અપેક્ષા કરી’તી
ફકત દેવા માટે દિલાસાઓ દે નહિ, તને ક્યાં છે મારી દશાનો અનુભવ.

હરણ તરસે માર્યું આ હાંફી રહ્યું છે, પ્રથમ એને પાણી પિવાડો ઓ લોકો,
તરત એ બિચારાને એ તો ન પૂછો, કે કેવો હતો ઝાંઝવાનો અનુભવ.

મને થોડી અગવડ પડી રહી’તી એથી ‘ફના’ ઘર બદલતાં મેં બદલી તો નાંખ્યું,
પરંતુ નવા ઘરના સામાન સાથે મેં બાંધ્યો છે જૂની જગાનો અનુભવ.

– જવાહર બક્ષી

2 Comments