Press "Enter" to skip to content

Category: રચયિતા

યા હોમ કરીને પડો


હિંમત કરવાનો પ્રસંગ આવે એટલે દરેક ગુજરાતીના મોં પર એક જ પંક્તિ આવે .. યા હોમ કરીને પડો ફતેહ છે આગે. આજકાલ ગુજરાતમાં પરીક્ષાની મોસમ છે. SSC અને HSC બોર્ડની પરીક્ષા ચાલી રહી છે ત્યારે આશા અને નિરાશા વચ્ચે ઝૂલા ઝૂલતાં દેશના ભાવિ યુવાનોની મનોસ્થિતિનો વિચાર આવે છે. નબળું રિઝલ્ટ આવતાં આપઘાત કરવા તૈયાર થનારા સંવેદનશીલ યુવામાનસને જે ટટ્ટારી અને ખુમારીની જરૂર છે એ આ ગીતમાંથી મળી રહેશે. કવિ નર્મદની આ બહુપ્રસિદ્ધ રચનાનું હૃદય મેહુલભાઈએ ખુબ સુંદર રીતે સંગીતમાં ઝીલ્યું છે. નિરાશ હો, હતાશ હો એવી પળોમાં આ ગીત સાંભળજો. જો ટટ્ટારી, ખુમારી અને જોમ-જુસ્સો ના ઉભરાય તો કહેજો.
*
આલ્બમ- નર્મદધારા, સ્વરાંકન- મેહુલ સુરતી

*
યા હોમ કરીને પડો ફતેહ છે આગે,
સહુ ચલો જીતવા જંગ, બ્યૂગલો વાગે.

કેટલાંક કર્મો વિષે, ઢીલ નવ ચાલે,
શંકા ભય તો બહુ રોજ, હામને ખાળે;
હજી સમય નથી આવિયો, કહી દિન ગાળે,
જન બ્હાનું કરે, નવ સરે અર્થ કો કાળે;
ઝંપલાવવાથી સિધ્ધિ જોઇ બળ લાગે….યા હોમ..

સાહસે કર્યો પરશુએ પૂરો અર્જુનને,
તે પરશુરામ પરસિધ્ધ, રહ્યો નિજ વચને;
સાહસે ઈંદ્રજિત શૂર, હણ્યો લક્ષ્મણે,
સાહસે વીર વિક્રમ, જગત સહુ ભણે;
થઈ ગર્દ જંગમાં મર્દ હક્ક નિજ માગે…યા હોમ..

સાહસે કોલંબસ ગયો, નવી દુનિયામાં,
સાહસે નેપોલિયન ભીડ્યો યુરોપ આખામાં;
સાહસે લ્યુથર તે થયો પોપની સામા,
સાહસે સ્કાટે દેવું રે, વાળ્યું જોતામાં;
સાહસે સિકંદર નામ અમર સહુ જાગે…યા હોમ..

સાહસે જ્ઞાતિનાં બંધ કાપી ઝટ નાખો,
સાહસે જાઓ પરદેશ બીક નવ રાખો;
સાહસે કરો વેપાર, જેમ બહુ લાખો,
સાહસે તજી પાખંડ, બહ્મરસ ચાખો;
સાહસે નર્મદા દેશ-દુઃખ સહુ ભાગે…યા હોમ..

-કવિ નર્મદ

4 Comments

પાંદડી વાયરાને વળગી શું કામ ?


પાંદડીના રૂપકથી નારીના જીવનની કહાણીની અદભુત રજુઆત. પિતાના ઘરે વાસંતી વાયરે ઝૂલતી કન્યા યુવાનીમાં પ્રવેશતા વાયરાને વળગીને પોતાની ડાળીથી ઈચ્છા કે અનિચ્છાએ વિખુટી પડી જાય છે. એની વ્યથાને ધાર આપતું વારંવાર સાંભળવું ગમે તેવું હૃદયસ્પર્શી ગીત. એટલું જ સુંદર સ્વરાંકન.
*
સંગીત: અમિત ઠક્કર, સ્વર: ગાર્ગી વ્હોરા, આલ્બમ- વિદેશિની

*
પાંદડી વાયરાને વળગી શું કામ ?
ડાળી પર ઝૂલતી’તી
ડાળી ઉપર ખૂલતી’તી
આમ એકાએક ડાળીથી અળગી શું કામ ?

વાયરો રોક્યો રોકાતો નથી કોઈથી,
પાંદડી શાને આ વાયરા પર મોહી’તી ?
હવે આંખડી આંસુમાં ઢળતી શું કામ ?
પાંદડી વાયરાને વળગી શું કામ ?

હવે મોસમમાં મ્હાલવાનો અવસર નથી,
પાંદડી પર વાસંતી અક્ષર નથી,
હવે ભવના જંગલમાં ભટકતી શું કામ ?
આમ એકાએક વાયરાથી સળગી શું કામ ?
પાંદડી વાયરાને વળગી શું કામ ?

– પન્ના નાયક (સાભાર – pannanaik.com)

6 Comments

એવું રે અજાણ્યું સગપણ સાંભર્યું


કલ્પનાના વૈભવથી છલોછલ અને મઘમઘ સુવાસે તરબોળ એક અજાણ્યું સગપણ સાંભરે પછી… એ સ્વપ્નસૃષ્ટિમાં વિહાર કરાવતું કવિશ્રી માધવ રામાનુજનું આ મધુરું ગીત સાંભળીએ કવિતા કૃષ્ણમૂર્તિના સ્વરમાં.
*
સ્વર- કવિતા કૃષ્ણમૂર્તિ, સંગીત: શ્યામલ-સૌમિલ મુન્શી, આલ્બમ- હસ્તાક્ષર

*
એવું રે અજાણ્યું સગપણ સાંભર્યું, સોણલાની વાડી ઝાકમઝોળ;
કોણ રે ચૂંટે ને કોણ ચપટી ભરે; મઘમઘ સુવાસે તરબોળ,
સગપણ સાંભર્યું.

ક્યાં રે કિનારો, ક્યાં રે નાંગર્યા નજર્યુંના પડછાયા આમ;
અચરજ ઊગી ઊગી આથમે પછીયે પથરાતું નામ,
સગપણ સાંભર્યું.

ઝાકળ સરીખું ઝલમલ બારણું, પગલે પાંપણનું ફૂલ;
એક રે હોંકારે ઉઘડે આગળા ઓળઘોળ આયખાનું મૂલ;
સગપણ સાંભર્યું

– માધવ રામાનુજ

5 Comments

અમે ધારી નહોતી


આમ તો એક વ્યક્તિની નજર અનેક વ્યક્તિઓને અનેકવાર મળી ચુકી હોય છે. પણ કોઈ એકાદના હૈયામાં જ એ કટારની માફક ભોંકાય જાય છે અને એવી ચોટ કરી જાય છે, કે સામેવાળી વ્યક્તિનું હૈયું ઘાયલ થઈ જાય છે. અંગ્રેજીમાં જેને Love at first sight કહેવામાં આવે છે તેનું અમૃત ઘાયલે કરેલ નક્કાશીભરેલ વર્ણન માણીએ મનહર ઉધાસના મખમલી કંઠે.
*
સ્વર- મનહર ઉધાસ, આલ્બમ – અમૃત

*
અમે ધારી નહોતી એવી અણધારી કરી લીધી,
અજાણી આંખડીએ ચોટ ગોઝારી કરી લીધી.

કોઈનાથી અમે બે વાત શું પ્યારી કરી લીધી!
જવાનીમાં મરણની પૂર્વતૈયારી કરી લીધી.

અમે મગરૂર મનને મારી લાચારી કરી લીધી,
કરી લીધી જીવન, તારી તરફદારી કરી લીધી.

ઘડીઓ આ જુદાઈની અને તે પણ જવાનીમાં?
અમે આ પણ સહન તલવાર બેધારી કરી લીધી.

મને કંઈ વાત તો કરવી હતી અલગારી મન મારા,
વળી કોના થકી તેં પ્રીત પરબારી કરી લીધી!

ભલે એ ના થયાં મારાં, ભલા આ સ્નેહ શું કમ છે?
ઘડીભર સાથ બેસી વાત બે પ્યારી કરી લીધી.

કસુંબલ આંખડીના આ કસબની વાત શી કરવી?
કલેજું કોતરી નાજુક મીનાકારી કરી લીધી.

મઝાની ચાંદનીમાં નોતરી બેઠા ઉદાસીને,
અમે હાથે કરીને રાત અંધારી કરી લીધી.

હવે મિત્રો ભલે ગુસ્સો ગઝલ પર ઠાલવે ‘ઘાયલ’,
અમારે વાત બે કરવી હતી પ્યારી, કરી લીધી.

– અમૃત ‘ઘાયલ’

2 Comments

રામ તમે સીતાજીની તોલે ન આવો


પુરુષપ્રધાન સમાજમાં બધું પુરુષની નજરે જ જોવાય છે અને મૂલવાય છે. ભગવાન રામ પણ એ નજરે જ જોવાયા. એમના બધા જીવનપ્રસંગો સ્વીકારાયા પણ ધોબીના કહેવાથી એમણે સીતાનો ત્યાગ કર્યો એ વાત ઘણાંને કઠી. અહીં કવિ સીતા અને રામની તુલના કરે છે અને સિદ્ધ કરે છે કે રામ ભલે ભગવાન કહેવાયા પણ સીતાજીની તુલનામાં તો તેઓ ઉણા જ ઉતરે. અવિનાશભાઈનું બહુ પ્રસિદ્ધ થયેલ આ ગીત સાંભળો આશા ભોંસલેજીના સ્વરમાં.
*
સંગીત: અવિનાશ વ્યાસ, સ્વર- આશા ભોંસલે, ફિલ્મ: મહેંદીનો રંગ

*
રામ રામ રામ …
દયાના સાગર થઇ ને, કૃપા રે નિધાન થઇ ને
છોને ભગવાન કહેવરાવો
પણ રામ તમે સીતાજીની તોલે ન આવો
સોળે શણગાર સજી મંદિરને દ્વાર તમે
ફૂલ ને ચંદનથી છો પૂજાઓ … મારા રામ તમે

કાચા રે કાન તમે ક્યાંના ભગવાન
તમે અગ્નિ પરીક્ષા કોની કીધી
તારો પડછાયો થઇ જઇ ને
વગડો રે વેઠ્યો એને લોકોની વાતે ત્યાગી દીધી
પતિ થઇને પત્નીને પારખતાં ન આવડી
છો ને ઘટઘટના જ્ઞાતા થઇ ફુલાઓ … મારા રામ તમે

તમથીયે પહેલા અશોક વનમાં
સીતાજીએ રાવણને હરાવ્યો
દૈત્યોના બીચમાં નિરાધાર નારી તોયે
દશ માથાવાળો ત્યાં ના ફાવ્યો
મરેલાને માર્યો તેમાં કર્યું શું પરાક્રમ
અમથો વિજયનો લૂટ્યો લ્હાવો … મારા રામ તમે.

– અવિનાશ વ્યાસ

13 Comments

મને પાણીની જેમ કોઈ સ્પર્શે


લાગણીની ઝંખના માણસને હમેશા રહે છે. કોઈ પાણીની જેમ સ્પર્શે એ વાત જ કેટલી સંવેદનાથી ભરેલી છે. વીરુ પુરોહિતની આ લાગણીભીની રચના અધૂરા સંબંધોની સંવેદનાને ધાર કાઢી આપે છે. આપણા સંબંધ જાણે શીર્ષક વિનાની વારતા … કેટલું બધું કહી જાય છે. થોડા સમય પહેલાં આપણે માણેલી માધવ રામાનુજની રચના – પાસ પાસે તોયે કેટલાં જોજન .. યાદ આવ્યા વિના નથી રહેતી. માણો આ સુંદર ગીત અમર ભટ્ટના સ્વરાંકનમાં.
*

*
કે મને પાણીની જેમ કોઈ સ્પર્શે

આસપાસ દર્પણનો આભાસી તડકો,
તું સૂરજ ના હોવાની ધારણા
લાગણીનું રણમાં ચણાતું મકાન
પારદર્શકતા સગપણનાં બારણાં
પડછાતી દૂરતા નેવાંની ધારમાં,
ને રોજ ધોધમાર કોઈ વરસે..કે મને પાણીની જેમ કોઈ સ્પર્શે

રોજરોજ આંખ્યુંમાં મળવાનાં પક્ષીઓ
ઈચ્છાનું આભ લઈ આવતાં;
આપણા સંબંધ સખી એવા કહેવાય,
જાણે શીર્ષક વિનાની કોઈ વારતા
એકાદી આંગળીને બંસી બનાવી,
કોઈ ફૂંકો તો ગોકુળ સળવળશે … કે મને પાણીની જેમ કોઈ સ્પર્શે

– વીરુ પુરોહિત

5 Comments