Press "Enter" to skip to content

Category: અમૃત ઘાયલ

કહેવાય નહીં

ગુજરાતી ગઝલકારોમાં શિરમોર સમા અમૃત ઘાયલ સાહેબની આ રચના ખુબ પ્રસિદ્ધ છે. શબ્દોને ભાવના ટાંકણે ટીચી ગઝલની મૂર્તિનું સર્જન કરનાર આ અનોખા શાયરની ખુમારી એમના એકેક શેરમાંથી ટપકે છે. જીવનભર દર્દ સહન કર્યા પછી ‘હર્ષનો માર્યો મરી જાય તો કહેવાય નહીં’ કહીને એમણે હૃદયનું દર્દ કેટલી ખૂબીથી રજૂ કર્યું છે ! આપણે એટલું જ કહી શકીએ કે ઘાયલ સાહેબ, તમને સલામ !

મન મરણ પહેલા મરી જાય તો કહેવાય નહીં
વેદના કામ કરી જાય તો કહેવાય નહીં

આંખથી અશ્રુ ખરી જાય તો કહેવાય નહીં
ધૈર્ય પર પાણી ફરી જાય તો કહેવાય નહીં

એની આંખોને ફરી આજ સુઝી છે મસ્તી
દીલ ફરી મુજથી ફરી જાય તો કહેવાય નહીં

આંખનો દોષ ગણે છે બધા દીલને બદલે
ચોર નિર્દોષ ઠરી જાય તો કહેવાય નહીં

શોકનો માર્યો તો મરશે ન તમારો “ઘાયલ”
ખુશીનો માર્યો મરી જાય તો કહેવાય નહીં

– અમૃત ઘાયલ

2 Comments

મૃત્યુ

[ આજે ઉપરની પોસ્ટમાં લખ્યા મુજબ કાર્નેગી મેલન યુનિવર્સીટીના પ્રાધ્યાપક ડો. રેન્ડી પાઉશનું અવસાન થયું. એથી સહજ રીતે જ મૃત્યુ વિશે ચિંતન ચાલ્યું. થયું કે લાવ, મરણ વિશે કવિઓનું ચિંતન અહીં રજૂ કરું તો અસ્થાને નહીં ગણાય. ]

બંધ પરબીડિયામાંથી મરણ મળે તમને,
બચી શકાય તો બચવાની ક્ષણ મળે તમને,
ટપાલ થઈને તમે ઘેરઘેર પહોંચો પણ,
સમસ્ત શહેરના લોકો અભણ મળે તમને.
– રમેશ પારેખ

મરણનું મૂલ્ય જીવનથી વધારે એ રીતે લાગ્યું,
ન આવે કોઈ મળવાને ત્યાં આખી સભા આવે.
-કૈલાશ પંડીત

શબ્દ ક્યાં પહોંચે છે તે જાતે નિરખવા માટે
ભાનની સૃષ્ટિની સીમાને પરખવા માટે
દિલના વિસ્તારની દુનિયાઓમાં વસવા માટે
કોઈ મહેફીલથી ઊઠી જાય તો મૃત્યુ ન કહો.
– હરીન્દ્ર દવે

રડ્યા ‘બેફામ’ મારા મરણ પર સૌ એ જ કારણથી
હતો મારો જ અવસર ને મારી હાજરી નહોતી !
– બેફામ

મોત વેળાની આ ઐયાશી નથી ગમતી ‘મરીઝ’
કે હું પથારીમાં રહું ને આખુ ઘર જાગ્યા કરે…
– મરીઝ

મોત કેરા નામથી ગભરાઉ એવો હું નથી,
બીકથી વહેવાર ચુકી જાઉં એવો હું નથી,
જાન દીધો છે ખુદાએ ચાર દિ માટે ઉધાર,
એનો પાછો સોંપતા ખચકાઉં એવો હું નથી.
– શૂન્ય પાલનપુરી

જન્મની સાથે જ મૃત્યુનો ચુકાદો હોય છે
કાળની પણ કેટલી નિર્મમ મુરાદો હોય છે
– ચંદ્રેશ શાહ

માર્ગમાં આવે છે મૃત્યુની પરબ
જ્યાં થઈ હર એક રસ્તા નીકળે
– રમેશ પારેખ

મૃત્યુ એટલે સમગ્ર જાત ને વહેંચવી
વૃક્ષમાં, પહાડમાં, વિહંગમાં, જરા તરા
– હેમેન શાહ

જવાનું ચોક્કસ આ જગથી,
જન્મ મરણની મહા નિસરણી
આ તો લઘુ પગથી …
– યોગેશ્વરજી

તને કોણે કહી દીધું મરણની બાદ મુક્તિ છે ?
રહે છે કેદ એની એ ફક્ત દિવાલ જ બદલે છે.
– અમૃત ઘાયલ

જો હદયની આગ વધી ‘ગની’, તો ખુદ ઈશ્વરે જ કૃપા કરી;
કોઈ શ્વાસ બંધ કરી ગયું, કે પવન ન જાય અગન સુધી.
– ગની દહીંવાલા

સન્માન કેવું પામશો મૃત્યુ પછી ‘રવિ’
જોવા તમાશો એક વાર ગુજરી જવું પડે.
– રવિ ઉપાધ્યાય

જીવતાં જાણ્યું નહીં ને આજ મરવાના પછી,
ના કરો ફુલો થકી, મારા કફનની છેડતી.
– ડો. સુચેતા ભડલાવાલા 

રેત ભીની તમે કરો પણ રણ સમંદર કદી નહીં લાગે,
શબને પુષ્પ તમે ધરો પણ મોત સુંદર કદી નહીં લાગે.

[ હજી ઘણું ઘણું યાદ આવે છે પણ અત્યારે આટલું જ … કારણ, તમને કંઈ યાદ આવે તો ઉમેરી શકો ને ? ]

3 Comments