કબીરવડ – ભૂરો ભાસ્યો ઝાંખો

June 8th, 2010

kabirvad
ભરૂચ પાસે આવેલ કબીરવડથી ભાગ્યે જ કોઈ ગુજરાતી અજાણ હશે. એક માન્યતા પ્રમાણે ચૌદમી સદીમાં શુકલતીર્થ ક્ષેત્રમાં જીવા અને તત્વા નામના બે બ્રાહ્મણ ભાઈઓ રહેતા હતાં, તેમણે વડની એક સૂકી ડાળખી જમીનમાં રોપી અને એવો સંકલ્પ કર્યો હતો કે કોઈ સમર્થ સંતના સ્પર્શથી આ સૂકી ડાળ નવપલ્લિત બને અને તેને કુંપળો ફુટે. વરસો બાદ તેઓ વૃદ્ધ થયા ત્યારે સંત કબીર ત્યાં પધાર્યા. એમણે નર્મદાના નીરથી કબીર સાહેબના પગ ધોયા અને ચરણામૃત લીધા પછીનું જળ આ સૂકી ડાળીમાં સિંચ્યું. બસ, સર્વ ભક્તજનોના આશ્ચર્ય વચ્ચે તે સૂકી ડાળને કુંપળ ફૂંટી અને તે કબીરવડ તરીકે પ્રસિદ્ધિ પામ્યો. એ પછી તો આખાય ગુજરાત અને ગુજરાત બહાર તેની પ્રસિદ્ધિ થઈ. અનેક વાર નર્મદાના પાણી એ બેટ પર ફરી વળ્યા છતાં ઈતિહાસનો સાક્ષી સમો કબીરવડ આજેય અડીખમ ઊભો છે. કવિ નર્મદે કબીરવડને અદભુત અંજલિ આપતું પદ રચ્યું. મેહુલભાઈએ એનું એટલું જ સુંદર સ્વરાંકન કર્યું. માણો કબીરવડના ગૌરવગીત સમી આ રચના પાર્થિવ ગોહિલના સ્વરમાં.
(સંગીત: મેહુલ સુરતી, આલ્બમ: નર્મદધારા)

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

ભુરો ભાસ્યો ઝાંખો, દૂરથી ધુમસે પ્હાડ સરખો,
નદી વચ્ચે ઊભો, નિર્ભયપણે એકસરખો;
દિસ્યો હાર્યો જોદ્ધો, હરિતણું હૃદે ધ્યાન ધરતો,
સવારે એકાંતે, કબીરવડ એ શોક હરતો.

કદે દેખાવે એ, અચરતિ જણાએ જગતમાં,
ખરી મ્હોરાંનો, મગરૂબ રહે દેશ નવ કાં?
મનાએ સત્સંગે, પવિતર કબીરાભગતમાં,
પ્રજાની વૃદ્ધિએ, નિત અમર કહેવાય નવ કાં?

જતાં પાસે જોઊં, વડ નહીં વડોનું વન ખરે,
મળે આડા ઊભા, અતિ નિકટ નીચે ઉપર જે;
વડો ઝાઝા તોએ, સહુ ભળી ગયે એક દીસતો,
વળી સંધાઓનું, અસલ જીવતું એક મુળ તો.

કિયૂં ડાળૂં પ્હેલૂં, કંઇ ન પરખાએ શ્રમ કરે ,
ઘસેડ્યો પાડીને, અસલવડ રેલે જણ કહે;
તણાયા છે ભાગો, ઘણી વખત જો એ વડ તણા,
તથાપી એ થાએ, ફુટ વીસ ગુણ્યા સો પરિઘમાં.

ફૂટી ડાળોમાંથી, પ્રથમ તરુ કેરી નીકળતા,
ખુંચે તેવા તંતુ, વધી જઈ નીચે જે લટકતા;
જટાની શોભાથી, અતિશ શરમાઈ શિવ ઊઠ્યા,
જટાને સંકેલી, વડ તજી ગિરિયે જઈ રહ્યા.

જટા લાંબી લાંબી, મુળ થડથી થોડેક દૂર જે,
નીચે ભૂમી સાથે, અટકી પછી પેસે મહિં જતે;
મળી મૂળીયાંમાં, ફરી નિકળી આવે તરુરુપે,
થડો બાંધી મોટાં, ઘણીક વડવાઈ કરી રહે.

વળી ડાળો મોટી, ઘણીક વડવાઇથી નિકળે ,
જટા પાછી જેને, અસલ પરમાણે જ લટકે;
નવાં બાંધી થાળાં, નવિન વટવાઇ ઉગી બને,
નહીં ન્હાની ન્હાની, પણ મુળ તરૂતુલ્ય જ કદે.

વડો વચ્ચે વચ્ચે, તરુ અવર આસોપાલવનાં,
વડોથી ઊંચાં છે, ખીચખીચ ભર્યાં પત્રથી ઘણાં;
ઘણા આંબા ભેગા, વળી ઘણીક સીતાફળી ઉગે,
બીજાં ઝાડો છોડો, વડની વચમાં તે જઈ ઘૂસે.

ઉનાળાનો ભાનુ, અતિશ મથી ભેદી નવ શકે,
ઘટા ઊંચે એવે, જન શીતળ છાયા સુખ લિયે;
ખુલી બાજૂઓથી, બહુ પવન આવી જમીનને,
કરે ચોખ્ખી રૂડી, પછી મીત થઈને ખુશી કરે.

ઘણાં જંતુ પંખી, અમળ સુખ પામે અહિં રહી,
ઘણાં જાત્રાળુઓ, અહીં ઊતરતાં પુણ્ય સમજી;
ઘણા શિકારીઓ, ગમત કરતા રેહ બહુ અહીં,
હજારો લોકોને, અડચણ સમાતાં અહિં નહીં.

અહીંયાંથી જોવી, ચકચકતી વ્હેતી નદી દુરે,
પશુ કો જોવાં જે, અહિં તહિં ચરે બેટ ઉપરે.
ઘટા ભારે જોવી, શબદ સુણવા કોઈ ખગના,
દિલે વાયુ લેવો, સુખ નવ હીણા લે કરમના.

ઘટા થાળાં લીધે, ઘણીક ફરવાને ગલી થઈ,
બખોલો બંધાઈ, રમણીય બહુ બેઠક બની;
નિરાંતે જેમાં તો, ખુશીથકી રમે લાલ લલના,
નિરાંતે જેમાં તો, ખુશીથકી રહે જોગી જપમાં.

દીપે છાયી જાડાં, હરિત કુમળાં પત્ર ઠુમસાં,
વળી રાતા ટેટા, ચુગી બહુ જીવો પેટ ભરતા;
પડે બાજૂએથી, બહુ ખુશનુમા રંગકિરણો,
નીચે ચળકે તડકે, બરફ સરખાં ઠારથી પડો.

ઠરી મારી આંખો, કબીરવડ તુને નિરખીને,
ખરી પાપી બુદ્ધિ, ખરી જ રૂડિ જાત્રા થઈ મને;
વિશેષે શોભે છે, ગભિર વડ તુંથી નરમદા,
કૃતાર્થી મોટો હું, દરશન વડે છું નરમદા.

- કવિ નર્મદ

ચાલ સંગે ઝળહળીએ

June 1st, 2010
39

મિત્રો, આજે એક સ્વરચિત ગઝલ. આશા છે એ આપને ગમશે.

હું અને તું જીવીએ છે એક જિન્દા લાશ થૈ,
કેમ ના ભેગા મળી સાથે જીવીએ આશ થૈ.

ક્યાં સુધી શંકા-કુશંકાને લઈ ચાલ્યા કરો ?
ક્યાંક તો મળવું જ પડશે આપણે વિશ્વાસ થૈ.

હો પતંગાનું જીગર તો દીપની ક્યાં છે મણા,
ચાલ સંગે ઝળહળીએ આપણે અજવાસ થૈ.

આપને મળવું મુકર્રર ના હશે તકદીર તો,
ઓળખી ના સ્હેજ શકીએ છો નીકળીએ પાસ થૈ.

શ્વાસનું આવાગમન તો ચાલશે કાયમ અહીં,
ચાલ બાકીની પળો ઉત્સવ કરીએ ખાસ થૈ.

ના હશે સંભાવના ત્યાં શક્યતાઓ ફુટશે,
આવ હોઠો પર, હુંફાળા, તું ગઝલનો પ્રાસ થૈ.

એમ વાદળ થઈ સદાયે મોકલે અણસાર પણ,
આવ ચાતકના શહેરમાં કોક દિ’ અહેસાસ થૈ.

- દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’

ગગનવાસી ધરા પર

May 22nd, 2010

દુઃખ પડે ત્યારે માણસને ઈશ્વર યાદ આવે છે. એ વખતે માણસ ભગવાનને આજીજી, પ્રાર્થના કે ક્યારેક પ્રશ્નો પણ કરે છે. પણ અહીં કવિ નવી જ વાત લાવ્યા છે. તેઓ ભગવાનને કહે છે કે હે શેષશૈયા પર શયન કરનાર, કદી પૃથ્વી પર આવી બે ઘડી શ્વાસ તો લઈ જુઓ. તો તમને ખબર પડે કે આ જીવન જીવવું કેટલું મુશ્કેલ છે. માણો ભાવનગરના કવિ નાઝિર દેખૈયાની આ યાદગાર રચના મનહર ઉધાસના કંઠે.

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

ગગનવાસી ધરા પર બે ઘડી શ્વાસો ભરી તો જો!
જીવનદાતા, જીવન કેરો અનુભવ તું કરી તો જો!

સદાયે શેષશૈયા પર શયન કરનાર ઓ ભગવન,
ફકત એકવાર કાંટાની પથારી પાથરી તો જો!

જીવન જેવું જીવન તુજ હાથમાં સુપરત કરી દેશું,
અમારી જેમ અમને એક પળ તું કરગરી તો જો!

નથી આ વાત સાગરની, આ ભવસાગરની વાતો છે;
અવરને તારનારા! તું સ્વયં એને તરી તો જો!

નિછાવર થઈ જઈશ એ વાત કરવી સહેલ છે “નાઝિર”
વફાના શ્વાસ ભરનારા, મરણ પહેલાં મરી તો જો.

- નાઝિર દેખૈયા

[ ફરમાઈશ કરનાર - નિરાલી ]

તો શું કરો ?

May 14th, 2010
daxesh
[હિમાચલ પ્રદેશમાં મીની સ્વીટ્ઝર્લેન્ડ ગણાતા ખજીયાર ખાતે ઝોમ્બીંગ (હવા ભરેલ મોટા ગોળામાં બેસીને ગબડવું) કરતા પૂર્વે લીધેલી તસવીર, એપ્રીલ 2010 ]

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

મિત્રો, આજે એક સ્વરચિત ગઝલ. આશા છે આપને ગમશે.
(તરન્નૂમ સ્વર – રાજુ યાત્રી)

લાગણીઓ છળ કરે તો શું કરો ?
અર્થહીન અક્ષર મળે તો શું કરો ?

સ્મિતની છેડો સિતારી સાજ પર
વેદનાનો સ્વર મળે તો શું કરો ?

હો સનાતન સાથ કેરી ઝંખના
દેહ, પણ નશ્વર મળે તો શું કરો ?

એ ઈબાદતની હશે તોહીન પણ
આંધળો ઈશ્વર મળે તો શું કરો ?

દેશભક્તિનો ઉઠાવો વાવટો,
થાંભલો કાફર મળે તો શું કરો ?

શ્વાસમાં દીપક જલાવો આશના
વાંઝિયા અવસર મળે તો શું કરો ?

એમ ચાતક થૈ તમે તરસ્યા કરો
ઝાંઝવા સરવર મળે તો શું કરો ?

- દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’

તમે મન મુકીને વરસ્યાં

May 7th, 2010

116.jpg
મિત્રો, આજે સાંભળીએ મને ખુબ ગમતું એક પદ જેના શબ્દો અને ભાવ ખુબ જ હૃદયસ્પર્શી છે. વારંવાર સાંભળવાનું મન થાય તેવું આ પ્રાર્થના પદનો જૈન સ્તવનમાલા આલ્બમમાં સમાવેશ થયેલો છે.
(સ્વર – નિશા ઉપાધ્યાય)

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

તમે મન મુકીને વરસ્યાં અમે જનમજનમના તરસ્યાં
તમે મુશળધારે વરસ્યાં અમે જનમજનમના તરસ્યાં

હજારે હાથે તમે દીધું પણ, ઝોળી અમારી ખાલી
જ્ઞાન ખજાનો તમે લૂંટાવ્યો, તોયે અમે અજ્ઞાની.
તમે અમૃતરૂપે વરસ્યાં અમે ઝેરના ઘૂંટડા સ્પર્શયાં. તમે…

શબ્દે શબ્દે શાતા આપે એવી તમારી વાણી
એ વાણીની પાવનતાને અમે કદી ના પીછાણી
તમે મહેરામણ થઈ ઉમટયાં અમે કાંઠે આવી અટકયાં. તમે….

સ્નેહની ગંગા તમે વહાવી જીવન નિર્મળ કરવા
પ્રેમની જ્યોતિ તમે જગાવી આતમ ઉજવળ કરવા
તમે સૂરજ થઇને ચમક્યાં અમે અંધારામાં ભટક્યાં. તમે…

- રચનાકાર ??