Press "Enter" to skip to content

Month: March 2009

તકિયાકલામ છે

સાથે રહ્યો છું તારી આ તેનો દમામ છે,
આંસુ એ મારી આંખનો તકિયાકલામ છે.

મારી ગલીમાં રોજ એ ભૂલા પડ્યા કરે,
શ્વાસોની આવજાવને દંડવત પ્રણામ છે.

પેલો સૂરજ તો સાંજટાણે આથમી જશે,
આંખોમાં તારી ઊગશે એને સલામ છે !

પાંપણમાં ઊંઘ આંજીને ચાલ્યો જઈશ હું,
સપનામાં તારા આવીને, મારે શું કામ છે ?

નક્કી જીવનના અંત સુધી નહીં કરી શકું,
હું શબ્દનો કે શબ્દ આ મારો ગુલામ છે.

– અંકિત ત્રિવેદી

1 Comment

દૂધને માટે રોતા બાળક


ગરીબી કદાચ માનવના લલાટે મોટામાં મોટો અભિશાપ છે એમ કહીએ તો ખોટું નથી. ગરીબને ઘરે જન્મ લેનાર બાળકના નસીબમાં દૂધને માટે રોવાનું લખાયેલું હોય છે જ્યારે પૈસાદાર અને સાધનસંપન્ન વ્યક્તિના ઘરે જન્મનારને સોના-ચાંદીના ચમચાથી દૂધ અપાય છે. ગરીબ અને તવંગરની જીવનશૈલીનો આ વિરોધાભાસ શૂન્યને સાલે છે. પરંતુ ગરીબના એ રડતાં બાળકને શું કહેવું ? શૂન્ય કહે છે કે પરિસ્થિતિનો સ્વીકાર કર. તું ગરીબના ઘરમાં જન્મ્યું એટલે તારે આ બધું સહન કરવું પડશે. હજુ તો આગળ જીવનમાં કેટલીય મુસીબતો આવશે તે સમયે આ આંસુઓ તને કામ આવશે એથી અત્યારે તું છાનું થઈ જા ! ભલભલાં પાષાણ કાળજાને શબ્દોના મર્મવેધી બાણથી વીંધી નાખે એવી શૂન્યની આ અમર કૃતિ મનહર ઉધાસના સ્વરમાં.
*
આલ્બમ: અરમાન

*
દૂધ ને માટે રોતા બાળક, રો તારા તકદીરને રો
એ ઘરમાં તુ જનમ્યું શાને, જે ઘરમાં ઉપવાસ ફરજ છે,
દર્દ વ્યથા પરીતાપ ફરજ છે, ગમ અશ્રુ નિશ્વાસ ફરજ છે .. દૂધને માટે રોતાં બાળક

ત્યાં જન્મત તો પુષ્પ હિંડોળે નર્મ શયનનાં સાધન હોત
મોટર મળતે, ગાડી મળતે, નર્સનાં લાલન-પાલન હોત
સોના-રૂપાના ચમચાથી દૂધની ધારા વહેતી હોત
તું રડતે તો પ્રેમની નદીઓ તોડી કિનારા વહેતી હોત
પણ તારા દુર્ભાગ્ય હશે કે જન્મ લીધો તેં આ ઘરમાં
ફેર નથી જે ઘરમાં ઇન્સાન અને જડ પથ્થરમાં … દૂધને માટે રોતાં બાળક

હાડ ને ચામનાં ખોખામાં તું દૂધનાં વલખાં મારે છે
મહેનત નિષ્ફળ જાતી જોઇ રોઇને અશ્રુ પાડે છે
આ ઘરની એ રીત પુરાણી આદીથી નિર્માઇ છે
મહેનત નિષ્ફળ જાયે છે, નિષ્ફળ જાવાને સર્જાઇ છે
વ્યર્થ રડીને ખાલી તારો અશ્રુ ભંડાર ન કર
મોંઘામૂલા એ મોતીનો ગેરઉપયોગ લગાર ન કર … દૂધને માટે રોતાં બાળક

તન તોડીને જાત ઘસીને પેટ અવર ભરવાનાં છે
શ્રમ પરસેવે લોહી નિતારી મહેલ ઊભાં કરવાનાં છે
એના બદલે મળશે ખાવા ગમ ને પીવા આંસુડા
લાગશે એવાં કપરાં કાળે અમૃત સરખા આંસુડા … દૂધને માટે રોતાં બાળક

ભુખ્યા પેટ ને નગ્ન શરીરો એ તો છે દસ્તુર અહીં
ચેન અને આરામ રહે છે સ્વપ્ન મહીં પણ દૂર અહીં
આ ઘરમાં તો એવી અગણીત વાતો મળવાની
ભુખના દા’ડા મળવાના ને પ્યાસની રાતો મળવાની
આ ઘરમાં ઉપવાસ ફરજ છે, દર્દ વ્યથા પરીતાપ ફરજ છે,
ગમ અશ્રુ નિશ્વાસ ફરજ છે, આ ઘરમાં તું જનમ્યું શાને… દૂધને માટે રોતાં

– શૂન્ય પાલનપુરી

2 Comments

પતંગિયાએ ઘર કર્યું હતું


એથી જ રંગરંગથી સઘળું ભર્યું હતું
આંખો મહીં પતંગિયાએ ઘર કર્યું હતું

નભમાં તરંગો આમ અમસ્તા ઊઠે નહીં
કોનું ખરીને પીછું હવામાં તર્યું હતું

ફળિયામાં ઠેર ઠેર પીળાં પાંદડાં પડ્યાં
એના જ ફરફરાટે ગગન ફરફર્યું હતું

આવીને પાછું બેઠું’તું પંખી યુગો પછી
ક્યાં અમથું શુષ્ક વૃક્ષ ભલા પાંગર્યું હતું

પોલાણ ખોલી બુદબુદાનું જોયું જ્યાં જરી
એમાંય એક આખું સરોવર ભર્યું હતું

આ શબ્દ મારા મૌનને એવા ડસી ગયા
ભમરાએ જાણે કાષ્ઠનું પડ કોતર્યું હતું

– મનોજ ખંડેરિયા

Leave a Comment

રામ રાખે તેમ રહીએ


ઈશ્વરને મેળવવા ભક્તિમાર્ગનો આધાર લેનારે સર્વસમર્પણની તૈયારી રાખવી પડે છે. જે પણ પરિસ્થિતિ આવી પડે એને પ્રભુનો પ્રસાદ માની આનંદથી સ્વીકારવી પડે છે. મીરાંબાઈએ ભગવાન કૃષ્ણને પોતાનું સર્વસમર્પણ કર્યું હતું. સાંવરિયાને મળવાના માર્ગમાં જે પણ વિઘ્નો આવે, જે પણ પરિસ્થિતિમાંથી પસાર થવું પડે તેને માટે તેમની સંપૂર્ણ તૈયારી હતી. એમની એ ખુમારી આ ભજનમાં છલકે છે. મહેલના હીરના પહેરણ અને શીરો-પૂરીનાં ભોજન છોડીને સાદાં કપડાં અને ભૂખ્યા રહેવા છતાંય બધી જ અવસ્થામાં આનંદ અને સતત સ્મરણ. કહેવું સહેલું છે પણ કરી બતાવવું અત્યંત કપરું છે. મીરાંબાઈએ એ કરી બતાવ્યું અને અમરત્વને હાંસલ કર્યું. પ્રભુભક્તિની ખુમારીથી છલોછલ આ સુંદર પદ સાંભળીએ દિપાલી સોમૈયાના સ્વરમાં.
*

*
રામ રાખે તેમ રહીએ, ઓધવજી… રામ રાખે તેમ રહીએ..
હે આપણે ચીઠ્ઠીના ચાકર છૈએ… રામ રાખે તેમ રહીએ…

કોઇ દિન પહેરણ હિર ને ચીર તો કોઇ દિન સાદા ફરીએ,
કોઇ દિન ભોજન શિરો ને પૂરી તો કોઇ દિન ભુખ્યાં રહીએ,
ઓધવજી, રામ રાખે તેમ રહીએ…

કોઇ દિન રહેવાને બાગ-બગીચા તો કોઇ દિન જંગલ રહીએ,
કોઇ દિન સુવાને ગાદી ને તકીયા તો કોઇ દિન ભોંય પર સુઇએ,
ઓધવજી, રામ રાખે તેમ રહીએ…

બાઇ મીરાં કહે પ્રભુ ગિરિધરના ગુણ સુખ-દુ:ખ સર્વે સહીએ
હે આપણે ચીઠ્ઠીના ચાકર છૈએ… ઓધવજી, રામ રાખે તેમ રહીએ…

– મીરાંબાઈ

4 Comments

શંકા ન કર

સૂર્યના ઢળવા વિષે શંકા ન કર
દીપ ઝળહળવા વિષે શંકા ન કર

આ કથાનો અંત બાકી છે હજી
આપણા મળવા વિષે શંકા ન કર

એક પથ્થર આપણે ફેંક્યા પછી
નીર ખળભળવા વિષે શંકા ન કર

છે તિખારો એક ઊંડે ક્યાંક પણ
હીમ ઓગળવા વિષે શંકા ન કર

એ અનાદિકાળથી ગુંજે ભીતર
નાદ સાંભળવા વિષે શંકા ન કર

-ઉર્વીશ વસાવડા

1 Comment

ઉમર ખૈયામની રુબાઈઓ – 6


દોસ્તો, આજે ઉમર ખૈયામની થોડી વધુ રુબાઈઓ માણીએ. ઘેરા તત્વજ્ઞાનથી સિંચાયેલ આ કડીઓ વારંવાર વાંચીએ તો જીવનનો મર્મ સમજાય એમ છે. મૂળ ફારસીમાં લખાયેલ અને ઉમદા ચિંતનથી ભરેલ આ રુબાઈઓ આપણને ગુજરાતીમાં વાંચવા મળે છે તે શૂન્ય પાલનપુરીએ કરેલ ભાવાનુવાદને આભારી છે. આમ તો બધી જ રુબાઈઓ મને ગમે છે પણ અહીં સૌથી પ્રથમ મૂકેલી મને ખુબ ગમે છે. તમને પણ ગમશે એવી આશા છે.
(અગાઉ મુકાઈ ગયેલ રુબાઈઓ વાંચવા અનુક્રમણિકામાં જુઓ.)

બોજ ગમનો મારા દિલ પરથી હઠાવી લે પ્રભુ,
એબ ઢાંકીને બૂરાઇથી બચાવી લે પ્રભુ;
કાલ તું દેજે સજા તારી દયાને છાજતી,
આજ કિંતુ મુજ દુઃખી મનને રિઝાવી લે પ્રભુ !

ખોલ મંગળ દ્વાર કે એ ખોલનારો તું જ છે,
ચીંધ સીધો રાહ કે રહેબર અમારો તું જ છે;
એટલે તો આશરો અમને ખપે ના કોઇનો,
છે બધાં ફાની, ફકત કાયમ સહારો તું જ છે.

કીટ ની કમજોર કાયા તુજથી બળ-ભરપૂર છે,
કીડીઓની સૂક્ષ્મ આંખોમાં ય તારું નૂર છે;
તું જ છે લાયક પ્રભુતાને સકળ સંસારમાં –
જેટલા અવગુણ છે, સૌ તારાથી ખૂબ જ દૂર છે.

જેની એક મરજી ઉપર ચાલે છે ઋતુનો કારભાર,
એ તો છે ત્રિકાળ-જ્ઞાની, સૌના મનનો જાણકાર;
તું ફરેબ આપી શકે દુનિયાને પણ એને નહીં,
છે સકળ સંસારની નસનસથી એ વાકેફગાર.

પંચ તત્વોનો ખુલાસો ધ્યાનથી સુણ બેખબર,
એક પચરંગી તમાશો છે આ તારું જીવતર;
દેવ, દાનવ, ઇશ, માનવ કે પછી કોઇ પશુ,
જે થવું હો થા કે સૌ નિર્ભર છે તારાં કર્મ પર.

– ઉમર ખૈયામ (ભાવાનુવાદ: શૂન્ય પાલનપુરી)

1 Comment