કૃષ્ણ ગોકુળ છોડી મથુરા ગયા ત્યાર પછી ગોપીઓની હાલત કફોડી થઈ ગઈ. કૃષ્ણના વિરહમાં દિવસો પસાર કરવા કપરા થઈ પડ્યા. પ્રસ્તુત ગીતમાં ગોપી કૃષ્ણને ગોકુળમાં આવવા વિનવે છે. જે વાંસળીના સૂરે એમના મન મોહી લીધેલા અને કાળજાને કામણ કરેલા એ સૂર ફરી એક વાર રેલાવવા આજીજી કરે છે. હંસા દવેના સ્વરમાં સાંભળો આ વિરહી ગોપીનું મધુરું ગીત.
*
સ્વર – હંસા દવે, સંગીત: પુરુષોત્તમ ઉપાધ્યાય; આલ્બમ: ગુલમહોર
*
એકવાર શ્યામ તારી મોરલી વગાડી દે,
એમાં ગોકુળીયુ ગામ તું ડુબાડી દે;
એવી ચારેકોર ઝંખના જગાવી દે.
ભર તું બપ્પોર મારી આંખો લઈ ગોકુળીયુ ગોતી તું ક્યાંય નજર ના આવે,
આખીયે જાત ધૂળ ધૂળ થઈ ગોકુળની ગાયોની ખરીઓ ખરડાવે.
એકવાર પગલી તું ગોકુળમાં પાડી દે,
ને ગોકુળીયુ ગામ તું ડુબાડી દે;
એવી ચારેકોર ઝંખના જગાવી દે.
મોરપીંછ મોકલવું ક્યાંય નહીં હોય તેમ માથે મૂકીને તું હાલજે,
રાધાને દીધેલા કોલ પેલો વાંસળી વગાડવાનો આખર તો પાળજે.
એકવાર એટલી ઉદારતા બતાવી દે,
ને ગોકુળીયુ ગામ તું ડુબાડી દે;
એવી ચારેકોર ઝંખના જગાવી દે.
– મહેશ દવે
4 Comments