Press "Enter" to skip to content

Day: December 3, 2008

પાર્થને કહો ચડાવે બાણ

કુરુક્ષેત્રની મધ્યમાં સ્વજન અને હિતેચ્છુઓને જોઈને પાર્થની દ્વિધાનો અંત લાવવા ભગવાન શ્રીકૃષ્ણે ભગવદ ગીતાનો ઉપદેશ આપ્યો હતો. પાંડવો યુદ્ધ વાંચ્છતા ન હતા. પરંતુ જ્યારે વિષ્ટિ-વિનવણીથી વાત ન પતી ત્યારે આખરી ઉપાય તરીકે તેમને યુદ્ધમાં ઉતરવું પડ્યું. કવિ ન્હાનાલાલ કૃત આ રચના ગુજરાતી સાહિત્યની એક અમર કૃતિ છે. મુંબઈમાં થયેલ આતંકવાદી હુમલા પછીના પ્રસ્તુત સંજોગોમાં પણ શું એ એટલું જ સાર્થક નથી લાગતું ? સરહદ પારના આતંકને ક્યાં સુધી મુંગે મોઢે સહન કરવો ?

પાર્થને કહો ચડાવે બાણ, હવે તો યુદ્ધ એ જ કલ્યાણ
કહો, કુંતાની છે એ આણ, પાર્થને કહો ચડાવે બાણ

ભીખ્યાં, ભટક્યાં, વિષ્ટિ, વિનવણી કીધાં સુજનનાં કર્મ
આર્યસુજનતા દૈન્ય ગણી તો યુદ્ધ એ જ યુગધર્મ
સજીવન થાય પડ્યાયે પ્હાણ … પાર્થને કહો ચડાવે બાણ

દ્રૌપદીની હજી વેણ છૂટી છે રાજસભાના બોલ
રણનોતરાંના ઉત્તર દેજો રણધીરને રણઢોલ
પાર્થની પ્રત્યંચાને વાણ … પાર્થને કહો ચડાવે બાણ

મેહુલો બોલે, વાયુ હુંકારે, ત્યમ તલપો સિંહબાળ
યુગપલટાના પદ પડછન્દે, ગજવો ઘોર ત્રિકાળ
સજો શિર વીર ! હવે શિરત્રાણ … પાર્થને કહો ચડાવે બાણ

નૃલોક જોશે, કાળ નીરખશે, રણરમતો મુજ વંશ
સત શીલ ને ધર્મયજ્ઞમાં, હજો વિશ્વવિધ્વંસ
ઊગે જો ! નભ નવયુગનો ભાણ … પાર્થને કહો ચડાવે બાણ

વિધિનાં એ જ મહાનિર્માણ, પાર્થને કહો ચડાવે બાણ

– મહાકવિ નાનાલાલ

4 Comments