Press "Enter" to skip to content

Month: November 2008

મને દેખાય છે


વ્યર્થ દુનિયામાં પ્રણયને આંધળો કહેવાય છે;
તું નયન સામે નથી તોપણ મને દેખાય છે.

જ્યાં જુઓ ત્યાં બસ બધે એક જ વદન દેખાય છે;
કોઇને એક વાર જોયા બાદ આવું થાય છે.

એમ તો એનું અચાનક પણ મિલન થઇ જાય છે;
શોધમાં નીકળું છું ત્યારે જ એ સંતાય છે.

આવ મારાં આંસુની થોડી ચમક આપું તને,
તું મને જોઇને બહુ ઝાંખી રીતે મલકાય છે.

એટલે સાકી, સુરા પણ આપજે બમણી મને,
મારા માથા પર દુઃખોની પણ ઘટા ઘેરાય છે.

હોય ના નહિ તો બધોય માર્ગ અંધારભર્યો,
લાગે છે કે આપની છાયા બધે પથરાય છે.

હું કરું છું એના ઘરની બંધ બારી પર નજર,
ત્યારે ત્યારે મારી આંખોમાં જ એ ડોકાય છે.

પ્યાર કરવો એ ગુનો છે એમ માને છે જગત,
પણ મને એની સજા તારા તરફથી થાય છે.

છે લખાયેલું તમારું નામ એમાં એટલે,
લેખ મારાથી વિધિના પણ હવે વંચાય છે.

છે અહીં ‘બેફામ’ કેવળ પ્રાણની ખુશ્બૂ બધી,
પ્રાણ ઊડી જાય છે તો દેહ પણ ગંધાય છે.

– બરકત વીરાણી ‘બેફામ’

2 Comments

એક જ દે ચિનગારી


આજે એક સુંદર પ્રાર્થનાગીત. નાનાં હતાં ત્યારથી આ પ્રાર્થનાના શબ્દો કાનમાં ગૂંજતા થયેલા અને હજુ આજેય એ એટલા જ મધુરા લાગે છે. ગુજરાતી પ્રાર્થનાગીતોમાં અદકું સ્થાન ધરાવતી હરિહર ભટ્ટની આ રચનાને આજે સાંભળો.
*
આલ્બમ: પ્રાર્થનાપોથી, પ્રકાશક – સૂરમંદિર

*
એક જ દે ચિનગારી, મહાનલ!
એક જ દે ચિનગારી.

ચકમક લોઢું ઘસતાં ઘસતાં ખરચી જિંદગી સારી,
જામગરીમાં તણખો ન પડ્યો, ન ફળી મહેનત મારી.
મહાનલ! એક જ દે ચિનગારી.

ચાંદો સળગ્યો, સૂરજ સળગ્યો, સળગી આભઅટારી,
ના સળગી એક સગડી મારી, વાત વિપતની ભારી.
મહાનલ! એક જ દે ચિનગારી..

ઠંડીમાં મુજ કાયા થથરે, ખૂટી ધીરજ મારી,
વિશ્વાનલ હું અધિક ન માગું, માગું એક ચિનગારી.
મહાનલ! એક જ દે ચિનગારી..

– હરિહર ભટ્ટ

9 Comments

એક નિશાની

વિદાય વખતે એમની પાસે એક નિશાની માંગી
મેં એક નિશાની માંગી
અશ્રુઓથી ભીંજાયેલી એક કહાની માગી,
મારા ઘરડા દિવસો માટે થોડીક જવાની માંગી…
મેં એક નિશાની માંગી…

મેં કરી વિનંતી
કે જાગતો રહીશ હું કયાં સુધી મને કોઇ હાલરડું આપો,
બાળક મનને રમવા માટે એક રમકડું આપો;
ઝુલ્ફની ખુશ્બો; સ્મિતની રોનક, નયનની મસ્તી આપો,
જતાં જતાં મારા સૂના મનને કંઇક તો વસ્તી આપો.

વિરહની રાતો પોતે જેને જીવની જેમ સંભાળે,
આપો એક વચન કંઇ એવું લાખ વરસ જે ચાલે.
પાયલ પહેર્યા બાદ પડયાં જે તે સૌ પગલાં આપો,
મેં એક નિશાની માંગી…

સૂણી વિનંતી બોલ્યા તેઓ નજરને નીચી રાખી,
‘દિલ જ્યાં આપ્યું પછી કહો શું આપવા જેવું બાકી?’
મારી યાદ હશે જો દિલમાં ને જો સૂરજ ઢળશે,
પ્રેમના સોગંદ રણમાંથી પણ તમને પનઘટ મળશે.
ઝુલ્ફની ખુશ્બો, સ્મિતની રોનક, નયનની મસ્તી મળશે,
ક્ષણભર યાદ કરી જો લેશો વસ્તી વસ્તી મળશે.

બાકી જેને ભૂલી જવું હો એ જ કહાની માંગે,
પ્રીતમ જેના મનમાં શંકા – એ જ નિશાની માંગે.
કેવો પ્રીતભર્યો આ ઠપકો, કેવી શીખ મજાની,
આથી બહેતર સૈફ શું મળતે બીજી કોઇ નિશાની !

– સૈફ પાલનપુરી

4 Comments

મીનાબજારે ઊભો છું


ટોચ પર પહોંચવાનું જેટલું અઘરું હોય છે તેનાથી પણ વધુ અઘરું ટોચ પર ટકી રહેવાનું હોય છે. ટોચ પર પહોંચ્યા પછીની એ જાગૃતિ છેલ્લી પંક્તિમાં ઝળકે છે. સાંભળો અમૃત ઘાયલની એક યાદગાર રચના મનહર ઉધાસના સ્વરમાં.
*

*
કંઇ ક્યારનો આમ જ મુગ્ધ બની, આ મીનાબજારે ઊભો છું,
લાગી છે કતારો નજરોની, નજરોની કતારે ઊભો છું.

પ્રત્યેક ગતિ, પ્રત્યેક સ્થિતિ, નિર્ભર છે, અહીં સંકેત ઉપર,
એના જ ઈશારે ચાલ્યો’તો, એના જ ઈશારે ઊભો છું.

આ તારી ગલીથી ઊઠી જવું, સાચે જ નથી મુશ્કિલ કિન્તુ,
તું સાંભળશે તો શું કહેશે, બસ એ જ વિચારે ઊભો છું.

આ દરિયાદિલી દરિયાની, હવા આકંઠ પીવા કેરી ય મજા,
ચાલ્યા જ કરું છું તેમ છતાં લાગે છે, કિનારે ઊભો છું.

સમજાતું નથી કંઇ ક્યાંથી મને, આ આવું લાગ્યું છે ઘેલું,
જાકારો મળ્યો તો જ્યાં સાંજે, ત્યાં આવી સવારે ઊભો છું.

સાચે જ જનાજા જેવી છે, એ દોસ્ત, દશા મારીય હવે.
કાલે ય મજારે ઊભો’તો, આજે ય મજારે ઊભો છું!

જોયા છે ઘણાંને મેં ‘ઘાયલ’, આ ટોચેથી ફેંકાઇ જતાં,
એકાદ ઘડી આ તો એમ જ, આવીને મિનારે ઊભો છું

– અમૃત ઘાયલ

2 Comments

આદિલ મન્સૂરી


લગભગ છેલ્લા પાંચ દાયકાથી ગુજરાતી સાહિત્યને પોતાની ગઝલો, નાટકો અને અછાંદસ કાવ્યો દ્વારા નવી રોશની પ્રદાન કરનાર આદિલ મન્સૂરી સાહેબનું 72 વર્ષની વયે ગઈકાલે ન્યૂજર્સીમાં હૃદયરોગના હુમલાથી અવસાન થયું. ‘મળે ન મળે’, ‘ગઝલના આયનાઘરમાં’, ‘પેન્સીલની કબરમાં’ જેવા ગ્રંથોના સર્જક આદિલભાઈ એક સુંદર કેલિયાગ્રાફર પણ હતા તે બહુ ઓછાને ખબર હશે. અમદાવાદને ‘નદીની રેતમાં રમતું નગર મળે ન મળે’ કહી સલામ કરી ન્યૂજર્સી સ્થાયી થનાર આદિલભાઈ પોતાની પાછળ પત્ની, પુત્રો અને પૌત્રોની સ્થૂળ યાદો ઉપરાંત ગુજરાતી સાહિત્યની ક્ષિતિજ પર પોતાની ઝળહળતી રચનાઓ મૂકી ગયા છે. આજે એમની કૃતિઓ વડે એમને શબ્દોની શ્રદ્ધાંજલિ અર્પીએ. આદિલ મન્સૂરી વિશે વધુ માહિતી માટે અહીં જુઓ.

દિલમાં કોઈની યાદના પગલાં રહી ગયાં,
ઝાકળ ઉડી ગયું અને ડાઘાં રહી ગયાં.
*
સમય સાંભળે છે બે ઘડી રોકાઈને આદિલ
જગતના મંચ પર જ્યારે કવિનું મૌન બોલે છે.
*
જ્યારે પ્રણયની જગમાં શરૂઆત થઈ હશે,
ત્યારે પ્રથમ ગઝલની રજૂઆત થઈ હશે.

પહેલાં પવનમાં ક્યારે હતી આટલી મહેક,
રસ્તામાં તારી સાથે મુલાકાત થઈ હશે.
*
હું ક્યાં કહું છું કે મદિરા જ વધારી આપો,
જિંદગીભર જે રહે એવી ખુમારી આપો.

ખ્વાબમાંયે કદી આદિલને દર્શન દઈને
એની ગઝલોના બધા શેર મઠારી આપો.
*
નદીની રેતમાં રમતું નગર મળે ન મળે,
ફરી આ દૃશ્ય સ્મૃતિપટ ઉપર મળે ન મળે.

વતનની ધૂળથી માથું ભરી લઉં આદિલ,
અરે આ ધૂળ પછી ઉમ્રભર મળે ન મળે.
*
સામાં મળે તો કેમ છો યે પૂછતાં નથી,
એકાંતમાં જે મારી ગઝલ ગણગણ્યાં કરે.
*
જ્યારે મોસમ ખૂબ ટફ થઈ જાય છે,
ત્યારે આંસુનું ટીપું બરફ થઈ જાય છે.
*
 ઉંઘવાનું કબરમાં છે આદિલ,
જિંદગીભર તો જાગરણ ચાલે.

4 Comments

કહું છું જવાનીને


ગયા પછી કદી ન આવનાર બચપણ તથા યુવાની અને એક વાર આવ્યા પછી કદી ન જનારી વૃદ્ધાવસ્થા – બંને જીવનના સત્ય છે. માણસ ચાહે એને સ્વીકારે કે ન સ્વીકારે. આ સુંદર રચનામાં મનને કેટલી સરસ રીતે તૈયાર કરવામાં આવ્યું છે કે જાગ, હવે તો ઘડપણનું ઘર નજીક છે. પણ છેલ્લી પંક્તિમાં એથીય સુંદર વાત છે. પ્રેમ માણસને કદી ઉંમરનો અહેસાસ થવા દેતો નથી. માણો આ સુંદર રચના બે સ્વરોમાં.
*
સ્વર – મોહમ્મદ રફી

*
સ્વર- સોલી કાપડિયા

*
કહું છું જવાનીને, પાછી વળી જા
કે ઘડપણનું ઘર મારું આવી ગયું છે

મનને ન ગમતું ઘડપણનું ડહાપણ
પણ તન તારું સગપણ ભુલાવી રહ્યું છે

મનની સ્થિતિ હમેશા આશિક રહી છે
કાલે જ મેં કોઇને માશૂક કહી છે

ફરી પાછા મળશું પાગલ થવાને
હમણા તો ડહાપણ ભઈ સતાવી રહ્યું છે

મુહોબ્બત તો મારો હક છે જનમનો
સાકી હતો ને રહ્યો છું સનમનો

ઘડપણને કહું છું કે માફી દઇ દે
મુહોબ્બતથી મુજને ભઇ ફાવી ગયું છે

– અવિનાશ વ્યાસ

3 Comments