Press "Enter" to skip to content

Day: October 14, 2008

ઓછા રે પડ્યાં


આજે શરદપૂનમ છે ત્યારે અવિનાશભાઈની આ અમર કૃતિ સહેજે યાદ આવે છે.
*
સ્વર – બિજલ ઉપાધ્યાય

*
લાખ કરે ચાંદલિયો તોયે પ્રગટે ના પરભાત
અને મથી મથી થાકે સૂરજ તોયે ઊગી ન ઊગે પૂનમ રાત

ઓછાં રે પડ્યાં.. ઓછાં રે પડ્યાં…
પૂનમ તારાં અજવાળાં ઓછાં રે પડ્યાં.
ભાંગેલા કાળજાની કોર કેરા કટકા
ગોતી ગોતી થાક્યા તો યે કયાંય ના જડ્યા … પૂનમ તારાં

કોઇ થાતું રાજી ને કોઇ જાતું દાઝી
આવી તે હોય શું તારી આતશબાજી
લાગી રે લગન કેરી અગન ને ટાળવા
કે લોચન ને મન મારાં જોને ઝગડ્યાં … પૂનમ તારાં

સ્નેહ કેરી સોયમાં પોર્યો ના પોરાય મારા દલડાનો દોરો
વરસે ચોમેર તારું અજવાળુ તોય મારા અંતરનો બાગ રહ્યો કોરો ને કોરો
ધનતાને લૂંટતાં ખુદ રે લૂંટાયા
કે જાવું’તુ ક્યાં ને ક્યાં આવી રે ચડ્યા … પૂનમ તારાં

અણગમતી તોય મુને ગમતી અમાસ
સપનાઓ આવે મારી પાંપણની પાસ
અંતરનો ચાંદ મારો રહ્યો રે અધૂરો
કે હસતાં નયણાં એ જોને મોતીડાં મઢ્યા … પૂનમ તારાં

– અવિનાશ વ્યાસ

3 Comments