બે પ્રેમીઓ એકબીજાને ખૂબ ચાહતા હોય છે પરંતુ લગ્ન પછી કોઈ કિસ્સામાં એમનો પ્રેમ અદૃશ્ય થઈ જતો જોવા મળે છે. એવી જ રીતે કોઈ સ્વજન, સ્નેહી કે હિતેચ્છુ અને મિત્રને માટે અપાર લાગણી હોય અને મનભરી તરસતા હોઈએ ..પણ જ્યારે મળવાનું થાય ત્યારે કોઈ બીના એવી બને કે કહેવાનું મન થાય .. ઘણું તરસ્યા હતા જેનું સાનિધ્ય પામવા માટે … અનુભવીઓએ ખોટું નહીં કહ્યું હોય કે સ્નેહ છે અગ્નિના જેવો સાવધાન સદા રહો, અતિ દૂર ન દે ઉષ્મા, દહે અતિ સમીપ તે.
બીજાને શું જીરવશું? જાતને જીરવી નથી શકતા,
ભીતર સર્જાતા ચક્રવાતને જીરવી નથી શકતા.
અતિશય જોશમાં આઘાત બીજા પર કરી લઈએ,
પછી ઉદભવતા પ્રત્યાઘાતને જીરવી નથી શકતા.
તરસ કોઠે પડી હો જેમને એવા ઘણા લોકો
ક્દાચિત્ આવતા વરસાદને જીરવી નથી શકતા.
સદા નક્કર હકીકત ને ગણતરીઓમાં જીવ્યા જે,
જીવનના અંતમાં આભાસને જીરવી નથી શકતા.
ઘણું તરસ્યા હતા સાંનિધ્ય જેનું પામવા માટે,
ખબર નહીં કેમ એના સાથને જીરવી નથી શકતા.
તમે આકાશ પણ ઝંખો ને બાંધો છત દીવાલો પર?
હકીકતમાં તમે અજવાસને જીરવી નથી શકતા.
નવા સર્જકને ત્રાંસી આંખથી જુએ જૂના સર્જક,
ઘણાં વૃક્ષો કૂંપળની વાતને જીરવી નથી શકતા.
– હિતેન આનંદપરા
4 Comments