Press "Enter" to skip to content

Day: September 10, 2008

શું વળે ?


નિરાશા અને આશા વચ્ચે માણસ ઝોલાં ખાતો રહે છે. જ્યારે મનમાં ઉત્સાહ અને ઉમંગ હોય ત્યારે બધું સારું લાગે છે, મહેનત ફળતી લાગે છે …પણ જ્યારે પ્રયત્નો નિષ્ફળ જાય ત્યારે નિરાશાનો સૂર ઉઠે. નિરાશાના નાજુક સંવેદનને કવિએ અહીં ગૂથી લીધું છે. અંધકારે જીવવું છે આપણે, શ્વાસના દીપક જલાવ્યે શું વળે … નિરાશાની ચરમસીમા વ્યક્ત કરે છે.

શબ્દના દરિયા વહાવ્યે શું વળે ?
અર્થના જંગલ જણાવ્યે શું વળે ?

શક્ય છે પાણીય નીકળે રણમહીં
મહેલ રેતીના ચણાવ્યે શું વળે ?

આયખું ઝાકળ સમું છે જેમનું
એમને સૂરજ બતાવ્યે શું વળે ?

વાંઝણી છે ભાગ્યરેખા આપણી,
કુંડળીઓ જોવરાવ્યે શું વળે ?

અંધકારે જીવવું છે આપણે,
શ્વાસના દીપક જલાવ્યે શું વળે ?

– આર. જે. નિમાવત

1 Comment