[દત્તાત્રેયે ચોવીસ ગુરુ કરેલા તેની વાત શાસ્ત્રોમાં વર્ણવેલી છે. જીવન કેવી રીતે જીવવું તેની પ્રેરણા જુદી જુદી જગ્યાએથી, જુદાજુદા પદાર્થોનું નિરીક્ષણ કરતાં સાંપડે છે. અહીં સુરેશભાઈએ એમની આગવી રીતે જીવન જીવવાની એમની શૈલીનું સરળ ભાષામાં નિરુપણ કરી બતાવ્યું છે. માણો મસ્તી અને ખુમારી ભરેલું જીવન જીવવાનો સંદેશ ધરતું એમનું ગદ્યકાવ્ય.]
આપણે આપણી રીતે રહેવું:
ખડક થવું હોય તો ખડક: નહીં તો નદી જેમ નિરાંતે વહેવું !
ફૂલની જેમ ખૂલવું
અને ડાળની ઉપર ઝૂલવું
ભમરાનું ગીત કાનમાં આંજી
કાંટાનું રૂપ ભૂલવું
મૂંગા થઈને સહેવું અને કહેવું હોય તો પંખીની જેમ કહેવું
ખડક થવું હોય તો ખડક: નહીં તો નદી જેમ નિરાંતે વહેવું!
પગલાં ભૂંસી ચાલતા થવું
પંથની ઉપર મ્હાલતા જવું
આનંદ આનંદ વેરતાં વેરતાં
આનંદને પંપાળતા જવું
લેવું દેવું કાંઈ નહીં: કેવળ હોવું એ જોતા રહેવું
ખડક થવું હોય તો ખડક: નહીં તો નદી જેમ નિરાંતે વહેવું !
– સુરેશ દલાલ
4 Comments