Press "Enter" to skip to content

Day: August 25, 2008

તને મારા સોગંદ


હરીશ મિનાશ્રુની આ કૃતિ સંવેદનથી છલોછલ છે. આંસુથી વેદનાની અભિવ્યક્તિ થાય પણ માછલી, જે પાણીમાં રહેતી હોય  એ વેદનાની અભિવ્યક્તિ કેવી રીતે કરે ? એના આંસુને કેવી રીતે ઓળખવા ?  વળી જીવ સોંસરતી ઘૂઘવતી વેદનાને દરિયો કહે .. કાબિલે તારીફ છે. સુંદર રચના માણો કવિતા કૃષ્ણમૂર્તિના કંઠે.
*

*
મને સુક્કા કદંબનું તે પાંદડું કહે
મને ગોકુળ કહે તો તને મારા સોગંદ
મને મોરલી કહે, મોર પીછું કહે,
મને માધવ કહે તો તને મારા સાગંદ.

કેમ કરી આંસુને ઓળખશે ભાઈ,
હું તો પાણીમાં તરફડતી માછલી;
જીવતરની વારતામાં ગૂંથેલી ઘટનાની
ખાલીખમ શ્રીફળની કાચલી;

જીવ સોંસરવી ઘૂઘવતી વેદનાને અમથુંયે
દરિયો કહે તો તને મારા સોગંદ.

વેણુંમાં ફરફરતા આદમ ને ઈવ જાણે,
સૂકેલા પાંદડાની જાળી:
ચપટી વગાડતાંમાં ઊડી ગઈ ક્યાંક
મારા ભેરુબંધોની હાથતાળી.

મને ડૂમો કહે કે ભીનું ડૂસકું કહે,
મને માણસ કહે તો તને મારા સોગંદ.

– હરીશ મિનાશ્રુ

7 Comments