Press "Enter" to skip to content

Day: August 24, 2008

ક્યાં ગયા ?


આજે મારી એક સ્વરચિત કૃતિ રજૂ કરું છું. આજે જનમાષ્ટમી, ભગવાન શ્રીકૃષ્ણનો જન્મદિવસ. ગીતામાં ભગવાને કહ્યું એ પ્રમાણે જ્યારે જ્યારે ધર્મનો નાશ થઈ જાય અને અધર્મનો વ્યાપ વધી જાય ત્યારે પોતે ધર્મની સ્થાપના અને સજ્જનોના પરિત્રાણ માટે જન્મ લેશે. પણ આજે જગતમાં દુઃખ, દર્દ, પીડા ને પરિતાપો વધી રહ્યા છે ત્યારે મંદિરમાં મૌન થઈ મોહક સ્મિત કરતા ભગવાનને સહજ પ્રશ્ન પૂછવાનું મન થાય છે કે તમે ક્યાં ગયા ?
*

*
શબ્દના સંસ્પર્શથી ઝંકૃત કર્યા પ્રેમી હૃદય,
મૌન શાને અસ્ખલિત આનંદ દેનારા ?
શબ્દથી સંમોહિની સૌનેય કરનારા ને
ને શબ્દની સંજીવની સૌનેય ધરનારા.

સાંભળેલું જ્ઞાન દેતા કૈંક આદિ ગ્રંથનું,
ક્યાં ગયા ઓ ગ્રંથને પણ જ્ઞાન દેનારા ?

મૂર્તિઓ પાષાણ દઈ ગઈ ઈશ્વરીય ઝાંખી,
ક્યાં ગયા ઓ ઈશ્વરોને ઝાંખી દેનારા ?

સ્પર્શ પામી લોહ જેના સ્વર્ણમાં પલટાય છે,
ક્યાં ગયા પારસમણિને જન્મ દેનારા ?

ઝળહળાં રોશન કરી મૂકે જગત અંધાર જે,
ક્યાં ગયા ઉદગમ પ્રકાશોનેય ધરનારા ?

પ્રાણહીન કંગાલ ભારત દુઃશાસનોના હાથમાં,
ક્યાં ગયા ઓ દ્રૌપદીના ચિર પૂરનારા ?

છે છલોછલ વેદના વિરહી જીગરના બાગમાં,
ક્યાં ગયા ઓ પ્રેમનું અમૃત પીરસનારા ?

 – દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’

8 Comments