ગુજરાતી ગઝલકારોમાં શિરમોર સમા અમૃત ઘાયલ સાહેબની આ રચના ખુબ પ્રસિદ્ધ છે. શબ્દોને ભાવના ટાંકણે ટીચી ગઝલની મૂર્તિનું સર્જન કરનાર આ અનોખા શાયરની ખુમારી એમના એકેક શેરમાંથી ટપકે છે. જીવનભર દર્દ સહન કર્યા પછી ‘હર્ષનો માર્યો મરી જાય તો કહેવાય નહીં’ કહીને એમણે હૃદયનું દર્દ કેટલી ખૂબીથી રજૂ કર્યું છે ! આપણે એટલું જ કહી શકીએ કે ઘાયલ સાહેબ, તમને સલામ !
મન મરણ પહેલા મરી જાય તો કહેવાય નહીં
વેદના કામ કરી જાય તો કહેવાય નહીં
આંખથી અશ્રુ ખરી જાય તો કહેવાય નહીં
ધૈર્ય પર પાણી ફરી જાય તો કહેવાય નહીં
એની આંખોને ફરી આજ સુઝી છે મસ્તી
દીલ ફરી મુજથી ફરી જાય તો કહેવાય નહીં
આંખનો દોષ ગણે છે બધા દીલને બદલે
ચોર નિર્દોષ ઠરી જાય તો કહેવાય નહીં
શોકનો માર્યો તો મરશે ન તમારો “ઘાયલ”
ખુશીનો માર્યો મરી જાય તો કહેવાય નહીં
– અમૃત ઘાયલ
2 Comments