ઈતિહાસને બદલાવ તું
આજે થોડા સ્વરચિત મુક્તકો … આશા છે આપને ગમશે.
છે સમયની માંગ કે ઈતિહાસને બદલાવ તું,
માતૃભૂમિની રગોમાં રક્ત નૂતન લાવ તું,
દેશ માટે પ્રાણ ન્યોછાવર કરે સંગ્રામમાં,
જે ચટાડે ધૂળ દુશ્મનને, જવાની લાવ તું.
*
જો સમય પર પાળને બાંધી શકે તો બાંધ તું,
ને સ્મૃતિના તારને સાંધી શકે તો સાંધ તું,
એક પળ વીતે વિરહની સાત સાગરના સમી
શ્વાસના મોઘમ બળે લાંઘી શકે તો લાંઘ તું.
*
પૌરુષી કો અશ્વ પર અસવાર થઈને આવ તું,
કે પ્રતાપી વીરની તલવાર થઈને આવ તું,
ચોતરફ અહીં આંધીઓ, તોફાન ને અંધાર છે
નાવ છે મઝધારમાં, પતવાર થઈને આવ તું.
*
આ મુક્તક વિશેષતઃ સ્વર્ણિમ ગુજરાતના પચાસ વર્ષ નિમિત્તે ગુજરાત બહાર વસતા સૌ ગુજરાતીઓને અર્પણ …
તન ભલે પરદેશ હો, મન મહેકવું જોઈએ
સંપત્તિ કેરા નશાથી ના બહેકવું જોઈએ,
ભાઈચારો, લાગણી હો, વસુધૈવ કુટુંબકમ્,
ગુજર્રીની મ્હેંકથી ઘર-ઘર મહેંકવું જોઈએ.
- દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’
May 8th, 2010 at 12:02 pm
ભાઈ ચાતક, ભારત યાત્રાનો આ પ્રસાદ અમને ઘણો ભાવ્યો! અનેક વિષમતાઓ હોવા છતાં એ ભૂમિમાં એવુ કોઈ તત્વ છે જે સહુ ભારત પ્રેમીઓને આકર્ષે છે, આવકારે છે, આલિંગે છે, અભિભૂત કર છે! આપની સાથે સાથે અમે પણ માતૃભૂમિ માટે એ જ પ્રાર્થના કરીએ. બાબુ સુભાષચંદ્ર બોઝે પણ ભારતની બહાર રહીને એના ઉત્થાન માટે કેસરીયા કર્યા હતા, તે વાત યાદ આવી ગઈ. આભાર.
May 8th, 2010 at 12:05 pm
તન ભલે પરદેશ હો, મન મહેકવું જોઈએ સંપત્તિ કેરા નશાથી ના બહેકવું જોઈએ, ભાઈચારો, લાગણી હો, વસુધૈવ કુટુંબકમ્, ગુજર્રીની મ્હેંકથી ઘર-ઘર મહેંકવું જોઈએ. ખુબ સરસ સ્ંદેશ છે આભાર
May 8th, 2010 at 1:54 pm
good .. khub saras..
May 8th, 2010 at 2:09 pm
સરસ મુક્તકો છે