જેને ખબર નથી કે
ગઝલનો જન્મ ઉર્દુ-ફારસીમાં થયો હોવાનું મનાય છે. એ સમયની ગઝલોમાં સુરા, જામ, સાકી વગેરેનો ઉલ્લેખ અચૂક જોવા મળતો. એવા જ લોકો ગઝલની સભાઓમાં જતા. કદાચ બીજા કોઈ એમાં પહોંચી જાય તો તેઓને એની ગતાગમ જ ન પડે, એને યથાર્થરૂપે માણી ન શકે. શૂન્યે એથી જ આ ગઝલમાં કહ્યું કે જેને વિષય પરત્વેનું જ્ઞાન ન હોય એણે એવી જગ્યાઓએ નહીં જવામાં જ સાર છે. માણો આ સુંદર ગઝલ મનહર ઉધાસના કંઠે.
[આલ્બમ - આરંભ]
Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.
નજીવા સ્વાર્થમાં જે મોતીઓ માટીમાં રોળે છે,
કરીને આબરુ લિલામ નિજનું નામ બોળે છે,
કરું તરફેણ એ પીનારની હું કઈ રીતે સાકી,
પીએ છે જેટલું એથી વધુ જે રોજ ઢોળે છે.
*
જેને ખબર નથી કે સુરા શું ને જામ શું
એનું ભલા ગઝલની સભાઓમાં કામ શું ?
સાકી જે મયકશીની અદબ રાખતા નથી
પામી શકે એ તારી નજરનો મુકામ શું ?
અવસર હશે જરૂર મિલન કે જુદાઈનો
ઓચિંતી દિલના આંગણે આ દોડધામ શું ?
મળશે તો ક્યાંક મળશે ગઝલમાં એ મસ્તરામ
જે ‘શૂન્ય’ હોય એને વળી ઠામબામ શું ?
- શૂન્ય પાલનપુરી

August 29th, 2009 at 12:38 pm
બહેકી ગયા છીએ પુરે પુરા અમે આ ગઝલ થી; નથી જાવું થવા બદનામ સુરાલયથી……..
September 11th, 2009 at 12:32 am
ગઝલ શુન્ય પાલનપુરીની છે એમાં કોઇ ના નહીં, પણ હુ ધારું છું ત્યાં સુધી મુક્તક અમૃત ઘાયલનું છે….
October 13th, 2009 at 7:53 pm
પ્રિતમ ભાઈ મને પણ ઍવું જ લાગે છે કે મુક્તક અમૃત ઘાયલનું છે. અને ઘણા સમય પછી ગઝલ વાંચીને જુના દિવસો યાદ આવી ગયા મિતિક્ષા.કોમનો આભાર માનુ એટલો ઓછો છે.
October 13th, 2009 at 7:57 pm
જો શક્ય હોય તો મનહર ઊધાસની અનુભવ આલ્બમની એક રાજા હતો ગઝલ મુકવા વિનંતિ.