તમે જિંદગી વાંચી છે ?
આજે જિંદગીના મર્મને રજૂ કરતી એક સુંદર રચના. જિંદગીની પુસ્તક સાથેની સરખામણી, અનુક્રમણિકા અને ભીતરમાં ભંડારેલ દુઃખના પ્રકરણો દરકે વ્યક્તિની કહાણી છે. સંબંધોના પોલાણને ફાટેલાં પાનાં સાથે સરખાવેલાં છે એ ઘણું બધું કહી જાય છે. કેટલાક પુસ્તકો અતિ પ્રિય હોય છે, એને વારંવાર વાંચીએ છીએ અને એક દિવસ એ પાનાં ફાટી જાય છે. નીકટના વ્યક્તિઓ જ્યારે એવી રીતે જતાં રહે તો કેવો આઘાત લાગતો હશે એની કલ્પના જ કરવી રહી. અને છેલ્લે આ કિતાબનો માલિક – ઈશ્વરની વાત કહીને રચનાને સુંદર અંત આપ્યો છે. શું ઈશ્વરને પણ પીડા હશે ? અને હોય તો શેની હશે ? જો કે કેટલાય પ્રશ્નો એવા હોય છે જે અનુત્તર રહેવા માટે જ સર્જાયેલા હોય છે… માણો આ સુંદર કૃતિને.
સુખની આખી અનુક્રમણિકા, અંદર દુ:ખના પ્રકરણ
તમે જિંદગી વાંચી છે ? વાંચો તો પડશે સમજણ
પૂંઠાં વચ્ચે પાનાં બાંધ્યાં, જેમ ડચૂરા બાઝે
આંસુના ચશ્માં પહેરીને, પાનેપાનાં વાંચે
પથ્થરના વરસાદ વચાળે, કેમ બચાવો દર્પણ… તમે જિંદગી.
હશે કોઈ પ્રકરણ એવું કે ખરે વાંચવા લાયક
તમે ફેરવો પાનાંને, એ પુસ્તકમાંથી ગાયબ
ફાટેલાં પાનાંનાં જેવાં ફાટી જાતાં સગપણ…. તમે જિંદગી.
આ લેખક પણ કેવો, એને દાદ આપવી પડશે
લખે કિતાબો લાખો, પણ ના નામ છપાવે કશે
હશે કદાચિત લેખકજીને પીડા નામે વળગણ…. તમે જિંદગી.
- મુકેશ જોષી

March 21st, 2009 at 4:51 pm
હશે કોઈ પ્રકરણ એવું કે ખરે વાંચવા લાયક
તમે ફેરવો પાનાંને, એ પુસ્તકમાંથી ગાયબ
ફાટેલાં પાનાંનાં જેવાં ફાટી જાતાં સગપણ
વાહ સુંદર અભિવ્યક્તિ..
એવું બનતું હોય છે, જિંદગીના પાનામાં જેને તમે ગોતતા હોય તે જ ગાયબ હોય.