એ કેવી સજા છે ?
આજે મારી એક સ્વરચિત કૃતિ રજૂ કરું છું. આદિ શંકરાચાર્યે કહેલું છે કે મનુષ્ય જન્મ, સંતનો સંગ અને મુમુક્ષત્વ એ ત્રણ સૌથી મોટા ભાગ્ય છે. પરંતુ ઘણે ભાગે જોવા મળે છે કે માણસને કદાચ સંતનો સંગ મળી જાય તો પણ મુમુક્ષત્વની ઈચ્છા જાગતી નથી અને એ સંસારના કાદવમાં રમ્યા કરે છે. એ તરસનું ન જાગવું એ કેવી મોટી સજા છે ? અંતિમ પંક્તિઓમાં એવી જ કોઈ તરસનું ન જાગવું રૂપકો દ્વારા વ્યક્ત થયું છે.
કદી દૂર હોવું, કદી પાસ હોવું, વિરહ ને મિલન તો પ્રણયની મજા છે,
પરંતુ મિલનની પળોમાં તમારું, જરા દૂ…ર હોવું એ કેવી સજા છે ?
તમારાં નયન ને હથેળીની બેડી, ગુનેગારને તો સજાની મજા છે,
ગુનો તો અમારોય કાબિલ છે કિન્તુ સજાનું ન હોવું એ કેવી સજા છે ?
મુહોબ્બતની બેચાર રંગીન વાતો ને શમણાં ભરેલી એ સંગીન રાતો,
જૂદાં તોય થાવું એ સમજી શકું છું, સ્મરણનું ન હોવું એ કેવી સજા છે ?
છલોછલ છલકતી આ રણની જવાની, અગન એમ વરસે કે વર્ષતું પાણી
આ વેરાન રણમાં ઝૂરે કૈંક ઝંઝા, હરણનું ન હોવું એ કેવી સજા છે ?
તેં દીધી ફૂલોને રૂપાળી સુગંધી, પતંગાને પાંખો ને ઉડવાની બંધી,
મહેકને પ્રસારી આ બેઠું કમળ પણ ભ્રમરનું ન હોવું એ કેવી સજા છે ?
ઋતુરાણી વર્ષા ને ઉમટેલાં આભે ઘટાટોપ વાદળનાં કેવાં સમૂહો,
છું ‘ચાતક’ સદીઓથી તોયે જુઓને, તરસનું ન હોવું એ કેવી સજા છે ?
- દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’

January 15th, 2009 at 2:07 pm
સરસ ગઝલ થઈ છે. આ શેર ખૂબ ગમ્યોઃ
ઋતુરાણી વર્ષા ને ઉમટેલાં આભે ઘટાટોપ વાદળનાં કેવાં સમૂહો,
છું ‘ચાતક’ સદીઓથી તોયે જુઓને, તરસનું ન હોવું એ કેવી સજા છે ?
અભિનંદન !
January 15th, 2009 at 5:29 pm
તેં દીધી ફૂલોને રૂપાળી સુગંધી..ભ્રમરનું ન હોવું એ કેવી સજા છે ?
.. ખુબ સુંદર દક્ષેશ, મનુષ્યત્વ મુમુક્ષત્વમ મહાપુરુષ સંશ્રયઃ
January 15th, 2009 at 8:08 pm
‘માણસને કદાચ સંતનો સંગ મળી જાય તો પણ મુમુક્ષત્વની ઈચ્છા જાગતી નથી’ સાચી વાત.તેને માટે કૃપા પાત્રતા જોઈએ-જે અંતઃકરણ સાફ કરવાથી આવે…
તે માટેની આ અભિવ્યક્તી
છું ‘ચાતક’ સદીઓથી તોયે જુઓને,
તરસનું ન હોવું એ કેવી સજા છે ?
સરસ
January 16th, 2009 at 12:01 am
સરળ બાની,લાંબી બહર અને વિચારૌચિત્યના કારણે અત્યુત્તમ રચના.
January 16th, 2009 at 7:20 am
મિત્ર દક્ષેશ,
ખુબ જ સરસ રચના લખી છે… વાચી આનંદ થયો… અભિનંદન…!
January 16th, 2009 at 7:53 am
અતિ ઉત્તમ કૃતિ. મોટા મોટા ગઝલકારોને પણ હલબલાવી દે તેવી રચના. સાચી, સીધી, સરળ, વાત, અન્યને ગળે ઉતારવી સહેલી નથી. પણ દક્ષેશભાઈ, તમે કરી બતાવ્યું. આ સનાતન સત્યને કોઇ સારા ગાયકના સ્વરમાં મઢાવી રજૂ કરવા વિનંતિ. આવી બીજી કૃતિ ક્યારે મળશે? અમને “ચાતક” ની રાહ ના જોવડાવશો.
ફરીથી અભિનંદન.
January 16th, 2009 at 10:30 am
ચાતકની તરસને વ્યક્ત કરતી ગઝલ ખૂબ ગમી. આવી જ રીતે ગઝલો લખાય તેવી શુભેચ્છા.
ખૂબ ખૂબ આશીર્વાદ.