નિર્ધનની સંવેદના

60.jpg
જેની પાસે દુન્યવી દૃષ્ટિએ કશું નથી એમ દેખાતું હોય એની પાસે સંવેદનાનો છલોછલ દરિયો હોય છે. સ્નેહરશ્મિની આ સુંદર કૃતિમાં એક નિર્ધનના હૈયાની વાત રજૂ થઈ છે. પોતાના પ્રિયને એ કહે છે કે કદાચ મારી પાસે સૌંદર્ય હોત તો હું તારા માર્ગમાં ન્યોછાવર કરતા, કદાચ સંપત્તિ હોત તો તેનાથી તારો માર્ગ ઉજાગર કરત. પરંતુ મારી પાસે તો માત્ર ચંદ કવિતારૂપી ધન છે, થોડાં સ્વપ્ન જ છે, એ જ તારા માર્ગમાં બિછાવું છું .. તો સંભાળીને ડગ ભરજે. એને ઠેસ ન પહોંચાડતો. માણો આ સુંદર કૃતિને.

કદી મારી પાસે વનવન તણાં હોત કુસુમો,
રૂપાળાં, ઓજસ્વી, સુરભિ ઝરતાં, હાસ્ય કરતાં,
સજેલાં વા રંગે પુલકિત ઉષા સાન્ધ્ય નભના,
વિખેરી તે માર્ગે તુજ હૃદય આહલાદ ભરતે.

કદી મારી પાસે ઝગમગ થતા હોત હીરલા,
પ્રભાવન્તા, દૈવી, ત્રણ ભુવનના દીપ સરખા,
કરીને ઉમંગે તુજ પથ મહીં રોશની સદા,
ધરી દેતે સર્વે હરખ થકી તારે ચરણ હું.

પરંતુ ભિખારી મુજ ગરીબ પાસે નહીં કશું
મીઠાં સ્વપ્નાં હૈયે- મુજ ધન- અને થોડી કવિતા!
હું તો વેરું એ સૌ તુજ પથ મહીં વ્હાલ ધરીને,
જરા ધીમે ધીમે પગ તું ધરજે – છે મૃદુલ એ !

- સ્નેહરશ્મિ

One Response to “નિર્ધનની સંવેદના”

  1. manvant Says:

    સ્નેહરશ્મિને કોલેજ કાળે ઓળખેલા..
    પુન: પરિચય બદલ આભાર બહેના !

Leave a Reply