મને એ જ સમજાતું નથી
[ સ્કૂલમાં આ ભણવામાં આવતી હતી ત્યારની મનમાં વસી ગઈ હતી. આ કૃતિની રચનાને વરસો વીતી ગયા છે પણ એમાં ઉઠાવેલા બધા જ પ્રશ્નો આજે પણ એટલા વાસ્તવિક છે, કદાચ પહેલાં કરતાંય વધુ. આ કૃતિની એ વિશેષતા છે. સામાજિક વૈષમ્ય અને નસીબની બલિહારી પણ એમાં છતી થાય છે. શું આ સ્થિતિમાં કશો ફેર પડશે ? ]
મને એ જ સમજાતું નથી કે આવું શાને થાય છે
ફૂલડાં ડૂબી જતાં ને પથ્થરો તરી જાય છે !
ટળવળે તરસ્યાં, ત્યહાં જે વાદળી વેરણ બને,
તે જ રણમાં ધૂમ મુસળધાર વરસી જાય છે !
ઘરહીણાં ઘૂમે હજારો ઠોકરાતાં ઠેર ઠેર :
ને ગગનચુમ્બી મહાલો જનસૂનાં રહી જાય છે !
દેવડીએ દંડ પામે ચોર મૂઠી જારના :
ને લાખ ખાંડી લૂંટનારા મહેફીલે મંડાય છે !
કામધેનુને મળે ના એક સૂકું તણખલું,
ને લીલાંછમ ખેતરો સૌ આખલા ચરી જાય છે !
છે ગરીબોના કૂબામાં તેલનું ટીપુંય દોહ્યલું,
ને શ્રીમંતોની કબર પર ઘીના દીવા થાય છે !
- કરસનદાસ માણેક
July 27th, 2008 at 10:18 am
મને એ જ સમજાતું નથી કે આવું શાને થાય છે
ફૂલડાં ડૂબી જતાં ને પથ્થરો તરી જાય છે !
છે ગરીબોના કૂબામાં તેલનું ટીપુંય દોહ્યલું,
ને શ્રીમંતોની કબર પર ઘીના દીવા થાય છે !
મને પણ આ બધુ ખુબ ગમે છે અને એ આજે પણ એટલા વાસ્તવિક છે. બરાબર છે. કીપ ઈટ અપ.
July 30th, 2008 at 11:52 pm
મારી ગમતી કવિતા ફરી માણવા મળી. આભાર.
મનોજ
December 28th, 2008 at 2:29 am
આ કાવ્ય મને ખુબ જ ગમે .
December 31st, 2008 at 9:49 pm
વરસો પહેલાં કવિએ લખેલું આજે પણ એટલું જ સાચુ છે. કવિનું બીજુ કાવ્ય એ દિન આંસુ ભીના રે, હરીના લોચનિઆ મે દીઠા… કદીક મળે તો પ્રસિધ્ધ કરશો.
June 1st, 2009 at 2:42 am
I want to listen this song if you find the record or audio tape
January 20th, 2010 at 2:02 am
Where Can I fine an Audio of this Kavita to Listen to ?