મને રુદન દેજે

[ ભાવનગરના કવિ નાઝિર દેખૈયાની આ ખુબ સુંદર કૃતિ છે. એના એકેક શેરમાંથી અનેરી ખુમારી ટપકે છે. આ ગઝલ માત્ર ગઝલ નથી પણ એક સ્વમાની માનવની પ્રાર્થના, એનો ઈશ્વર સાથેનો સંવાદ છે. ]

ખુશી દેજે જમાનાને, મને હરદમ રુદન દેજે
અવરને આપજે ગુલશન, મને વેરાન વન દેજે.

જમાનાના બધા પુણ્યો જમાનાને મુબારક હો,
હું પરખું પાપને કાયમ, મને એવા નયન દેજે.

સ્વમાની છું, કદી વિણ આવકારે ત્યાં નહીં આવું,
અગર તું દઈ શકે મુજને તો ધરતી પર ગગન દેજે.

ખુદા આ આટલી તુજને વિનતી છે આ ‘નાઝિર’ની,
રહે જેનાથી અણનમ શીશ, મને એવા નમન દેજે.

- નાઝિર દેખૈયા

6 Responses to “મને રુદન દેજે”

  1. અશ્વિન Says:

    જમાનાના બધા પુણ્યો જમાનાને મુબારક હો,
    હું પરખું પાપને કાયમ, મને એવા નયન દેજે.
    ખુદા આ આટલી તુજને વિનતી છે આ ‘અશ્વિનની’ … બહુ સરસ. તમારી ડાયરીનો ખજાનો પીરસતા રહેજો.

  2. Dr.Firdosh A.Dekhaiya Says:

    અશ્રુઓ સારો નહીં
    મોત ને મારો નહીં

    આગ થૈ ને વાગશે,
    જખ્મ ને ઝારો નહીં

    ને કફનમાં યાદ ના
    શિલ્પ કંડારો નહીં

    ગૂંગળાવે છે કબર,
    શ્વાસ !પરવારો નહીં

    મોત ની કોને ખબર?
    કોઇ અણસારો નહીં

    તા-કયામત બોલશે,
    પાપ,છૂટકારો નહીં

    ના અઝાબો છોડશે,
    ઈશ પણ તારો નહીં

    મોત પરવારી જશે,
    હોંસલા હારો નહીં

    —-ડો.ફિરદૌસ દેખૈયા

  3. Dr.Firdosh A.Dekhaiya Says:

    હું છું સવાલ સહેલો,ને અઘરો જવાબ છું;
    ને હુ સમય ના હાથની ખુલ્લી કિતાબ છું.

    એક યારની ગલી ,બીજી પરવરદિગારની;
    ના ત્યાં સફળ હતો,ના અહીં કામિયાબ છું.

    પૂછો ના કેમ સાંપડે ગઝલો તણો મિજાઝ;
    ફૂલોની મ્હેક છું,અને જૂનો શરાબ છું.

    રબ ની દુહાઇ ના દે એ નિગાહબાને-દીન ;
    તુજથી વધારે સાફ છું,એહલે-શરાબ છું.

    જીવ્યો છું જે મિજાજે,મરવાનો એ રુઆબે,
    લાખો રિયાસતો નો બસ એક જ નવાબ છું.

    — ડો.ફિરદૌસ દેખૈયા
    [ Your other submitted poems have been moved on આપની રચનાઓ page. Please submit your poems on that page so that other readers can easily read it at one place. Thank you for understanding. - admin ]

  4. Dr. firdosh dekhaiya Says:

    ગાયબ છે અંદરનો માણસ
    જીવે તે અવસરનો માણસ

    મસ્તીમાં લડખડતી સાંજે
    ખોવાયો જંતરનો માણસ

    ઘટનાઘેલો પાને-પાને
    ઊગ છે મંઝરનો માણસ

    પરપોટાના પડ ઉખાડે
    પીઝા ને બર્ગરનો માણસ

    દાપાં માંગે ડગલે-ડગલે
    સાલ્લો આ દફતરનો માણસ

    - સલીમ શેખ(સાલસ)

  5. Dr. firdosh dekhaiya Says:

    રાહી ઓધારિયા ની એક રચનાઃ
    આકાશમાંથી એક સિતારો ખર્યાની વાત
    બેસો, કહું છું તમને હું મારા મર્યાની વાત

    વળગણ બધાંયે છૂટી ગયાં તમને જોઈને
    મારા મહીંથી ધીમે-ધીમે હું સર્યાની વાત

    તમને ય તે હવે તો ખરી લાગતી હશે
    જન્માક્ષરો મારા ને તમારા વર્યાની વાત

    ‘રાહી’! અબળખા કોઇ હવે બાકી ક્યાં રહી?
    કેવળ રહી છે મન મહીં તમને સ્મર્યાની વાત.

    મિત્રો,એકલ સાંજે જ્યારે આરામખુરશીમાં મગજ આરામ ફરમાવતું હોય ત્યારે આવી કોઈ રચના તમારી કને હોય તો એ સાંજનું શું કહેવું?

  6. Dr. firdosh dekhaiya Says:

    સત્યના મારા પ્રયોગો સાવ તો ખોટા નથી,
    વાત ખાલી એટલી કે એમના ફોટા નથી

    કેટલી નરમાશથી સાગર મળે આકાશને,
    કે હવાની ઓઢણી પર ક્યાંય લીસોટા નથી

    જાત બાળીને ઉજાળે વિશ્વ આખાને સદા,
    ચાંદ પણ સંમત થશે કે સૂર્યના જોટા નથી

    કો’ વધૂને બાળતા હાથો વિશે બોલ્યા સતી,
    પાનબાઈ!એમના માટે હજી “પોટા” નથી?

    ભ્રુણ હત્યા લાગશે ,સંભાળજે પાગલ પવન,
    કૂખમાં જળની હવા છે,સિર્ફ પરપોટા નથી.

    - સલીમ શેખ(સાલસ)
    [ Your poems have been moved to આપની રચનાઓ page. Please submit your poems on that page so that other readers can easily read it at one place. Thank you for understanding. - admin ]

Leave a Reply