મેરુ તો ડગે
વીજળીના ચમકારે મોતીડા પરોવો – એ એક ભજન દ્વારા ગુજરાતી સંતસાહિત્યના આકાશમાં ચમકારો કરનાર ગંગા સતીના ભજનોથી આપણે અજાણ નથી. આજે ગંગા સતીનું એવું જ એક અન્ય પ્રસિદ્ધ ભજન સાંભળીએ. ઈશ્વરના માર્ગે ચાલવાનો પ્રામાણિક પ્રયત્ન કરનાર અને ચાલીને અનુભૂતિથી સંપન્ન બનનાર વ્યક્તિના લક્ષણો વિશે કેટલી સરળ ભાષામાં ગંગાસતીએ કહ્યું કે જેનું મન સુખ-દુઃખ, પ્રસંશા-નિંદા, સારા-નરસાં કોઈપણ સંજોગોમાં સ્થિર અને સમ રહે તેને ખરો હરિનો જન જાણવો.
Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.
મેરુ તો ડગે જેનાં મન ના ડગે મરને ભાંગી પડે બ્રહ્માંડજી;
વિપત્તિ પડે તોય વણસે નહીં; સોઈ હરિજનનાં પ્રમાણજી – મેરુ.
ચિત્તની વૃતિ જેની સદાય નિરમળ ને કોઈની કરે નહિ આશજી;
દાન દેવે પણ રહે અજાસી, રાખે વચનમાં વિશ્વાસ રે જી – મેરુ.
હરખ ને શોકની આવે નહી હેડકી, આઠ પહોર રહે આનંદજી,
નિત્ય રે નાચે સત્સંગમાં ને તોડે માયા કેરા ફંદજી – મેરુ.
તન મન ધન જેણે પ્રભુને સમર્પ્યાં, તે નામ નિજારી નર ને નારજી,
એકાંતે બેસીને આરાધના માંડે તો, અલખ પધારે એને દ્વારજી – મેરુ.
સતગુરુ વચનમાં શૂરા થઈ ચાલે, શીશ તો કર્યાં કુરબાન રે,
સંકલ્પ વિકલ્પ એકે નહિ ઉરમાં, જેણે મેલ્યાં અંતરનાં માન રે – મેરુ.
સંગત કરો તો તમે એવાની કરજો, જે ભજનમાં રહે ભરપુરજી,
ગંગા સતી એમ બોલિયાં, જેને નેણ તે વરસે ઝાઝાં નૂરજી – મેરુ.
- ગંગા સતી
December 29th, 2008 at 10:36 pm
ધન્યવાદ! આ પદ સાંભળવાનું મને છેલ્લા બે દિવસથી મન થતું હતું, કોઈ પણ કારણ વિના, અને આજે મને મળી ગયુ!!!
December 31st, 2008 at 9:06 am
આપના સર્વે પ્રયત્નો સફળ થાઓ …….એ પ્રભુને પ્રાર્થના !