કાજળભર્યા નયનનાં

ash
અમૃત ઘાયલ સાહેબની કદાચ સૌથી પ્રસિદ્ધ ગઝલ અને એને બખૂબીથી સ્વરાંકન કરનાર મનહર ઉધાસનો મનોહર કંઠ. સુંદર નયનની વાત આવે એટલે સહજ જ ઐશ્વર્યા રાયની આંખો માનસપટ પર આવે. તો આજે ગુજરાતી સાહિત્યની ઘરેણાં સમી કૃતિ, સુંદર સ્વર અને કાજળભર્યા નયનનો ત્રિવેણી સંગમ માણો મન ભરીને.

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

જીવનમાં જો દુઃખો હોય તો જીવન મદિરાધામ થઈ જાયે
આ દિલ સુરાહી ને નયન જામ થઈ જાયે
તુજ નયનમાં નિહાળું છું સઘળી રાસલીલાઓ
જો કીકી રાધા થઈ જાયે તો કાજળ શ્યામ થઈ જાયે.
*
કાજળભર્યા નયનનાં કામણ મને ગમે છે,
કારણ નહીં જ આપું કારણ મને ગમે છે.

લજ્જાથકી નમેલી પાંપણ મને ગમે છે,
ભાવે છે ભાર મનને, ભારણ મને ગમે છે.

જીવન અને મરણની હર ક્ષણ મને ગમે છે,
એ ઝેર હોય અથવા મારણ મને ગમે છે.

ખોટી તો ખોટી હૈયાધારણ મને ગમે છે,
જળ હોય ઝાંઝવાનાં તો પણ મને ગમે છે.

હસવું સદાય હસવું, દુ:ખમાં અચૂક હસવું,
દીવાનગીતણું આ ડહાપણ મને ગમે છે.

આવી ગયાં છો આંસુ, લૂછો નહીં ભલા થઇ,
આ બારેમાસ લીલાં તોરણ મને ગમે છે.

લાવે છે યાદ ફૂલો છાબો ભરી ભરીને,
છે ખૂબ મહોબતીલી માલણ, મને ગમે છે

દિલ શું હવે હું પાછી દુનિયા ય પણ નહીં દઉં,
એ પણ મને ગમે છે, આ પણ મને ગમે છે.

હું એટલે તો એને વેંઢારતો રહું છું,
સોગંદ જિંદગીના! વળગણ મને ગમે છે.

ભેટ્યો છું મોતને પણ કૈં વાર જિંદગીમાં!
આ ખોળિયાની જેમ જ ખાંપણ મને ગમે છે!

‘ઘાયલ’, મને મુબારક આ ઊર્મિકાવ્ય મારાં,
મેં રોઇને ભર્યા છે, એ રણ મને ગમે છે.

- અમૃત ‘ઘાયલ’

8 Responses to “કાજળભર્યા નયનનાં”

  1. pragnaju Says:

    આ કાવ્ય ફરી માણતા મને ડો વિવેક યાદ આવ્યો અને મહાકાવ્ય જેવું લખાણ જે વાંચી ખૂબ આનંદ થયો અને પ્રભુને અંતરથી પ્રાર્થના થઈ… “સૌથી પહેલો ફોન મેં મારા ચક્ષુરોગ નિષ્ણાંત મિત્ર નીરવને કર્યો, ‘પપ્પા નથી રહ્યાં, ચક્ષુદાનની વ્યવસ્થા કર”
    “પપ્પા ! વર્ષોથી જે આંખોના રણે મૃગજળ પણ જોયું નથી એ આંખો દુનિયાની નજરોથી દૂર-દૂર, તમારી પુત્રીથી ય વધુ એવી પુત્રવધૂની આગોશમાં રાત્રે એક વાગ્યે જે મૂશળધાર સ્ત્રવી છે અને તમારી સાથે ભાગ્યે જ કોઈ શબ્દોની આપ-લે કરતા બે હોઠમાંથી વારંવાર સરેલા આ શબ્દો – જે તમારે જીવતેજીવત જો તમે સાંભળ્યા હોત તો કદાચ મૃત્યુની ગોદમાં આમ દોડીને ના સર્યાં હોત – “આઈ લવ યુ, પપ્પા !”
    મૃત્યુ બાદ તમારી આંખથી જોવું છે ?–ચક્ષુદાન કરો
    * મૃત્યુ બાદ ચક્ષુદાતાની આંખોના પોપચા બંધ કરી દો.
    * પંખો બંધ કરી દો.
    * વ્યક્તિનું માથું ઓશિકા ઉપર સહેજ ઊંચુ રાખો.
    * નજીકની આઈ બેન્કનો ત્વરિત અથવા જેમ બને તેમ જલદીથી સંપર્ક સાધો.
    * યોગ્ય સરનામું તેમજ ટેલિફોન નંબર આપો જેથી સ્થળ જલદીથી શોધી શકાય.
    * ડેથ ર્સિટફિકેટ જો હોય તો તે તૈયાર રાખો.
    * ચક્ષુદાન પરિવારની લેખિત મંજૂરી તેમજ બે વ્યક્તિની હાજરીમાં થાય છે.
    * વધુ માહિતી માટે ૧૯૧૯ ટોલ ફ્રી નંબર ઉપર સંપર્ક સાધી શકાય છે.

  2. Dr Bipinchandra Contractor Says:

    હસવું સદાય હસવું, દુ:ખમાં અચૂક હસવું,
    દીવાનગીતણું આ ડહાપણ મને ગમે છે.
    અમૃતભાઈ ઘાયલની પ્રસિદ્ધ ગઝલ આ વેબસાઇટ પર વાંચીને અને તેમાંના કેટલાક શેર સાંભળીને માણવાની ખૂબ મઝા આવી. ધન્યવાદ!
    આ ગઝલના અનુસંધાનમાં વ્યક્તિગત અનુભવ આધારિત ચક્ષુદાન કરવાની pragnajuની અપીલ સ્પર્શી ગઈ!
    -ડૉ.બિપિન કૉન્ટ્રાકટર

  3. વિવેક ટેલર Says:

    સુંદર ગઝલ…

  4. nilam doshi Says:

    યોગ્ય સૂચનાઓ..

    અમે તો કયારનું ચક્ષુદાન અને દેહદાનનું ફોર્મ ભરી દીધુ છે.

  5. Atul Says:

    કાજળભર્યા નયન ને સાંભળી ને ખૂબજ આનંદ થયો.

  6. Kanchankumari Parmar Says:

    છે તરસ હજુએ ઘણી, પી લેવા દિયો, પી લેવા દિયો;
    નૈણે ભરેલા અમરત કાં ઢોળી દિયો, કાં ઢોળી દિયો …..
    જવાબ નહિ.

  7. Dr. Sharadchandra Patel Says:

    What a POETRY and VOICE!!!!!!!!!!!!!!!

  8. Dr. Sharadchandra Patel Says:

    મહોબતીલી માલણ !!!!!!!!!!!!!!!

Leave a Reply