કેવા રે મળેલા મનના મેળ


આજે સાંભળીએ એક સદાબહાર ગીત જે વારંવાર સાંભળ્યા છતાં ધરાવાય નહીં. બાલમુકુંદ દવે રચિત આ ગીતને સ્વર આપ્યો છે પ્રસિદ્ધ ગાયકો જનાર્દન અને હર્ષિદા રાવલે.

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. You also need to have JavaScript enabled in your browser.

કેવા રે મળેલા મનના મેળ ?
હો રુદિયાના રાજા ! કેવા રે મળેલા મનના મેળ ?

ચોકમાં ગૂંથાય જેવી ચાંદરણાની જાળી,
જેવી માંડવે વીંટાઇ નાગરવેલ :
હો રુદિયાની રાણી ! એવા રે મળેલા મનના મેળ !

તુંબું ને જંતરની વાણી
કાંઠા ને સરિતાનાં પાણી
ગોધણની ઘંટડીએ જેવી સોહે સંધ્યાવેળ :
હો રુદિયાના રાજા ! એવા રે મળેલા મનના મેળ !

ધરતી ભીંજાય જેવી મેહુલાની ધારે,
જેવાં બીજ રે ફણગાય ખાતરખેડ :
હો રુદિયાની રાણી ! એવા રે મળેલા મનના મેળ !

સંગનો ઉમંગ માણી,
જિંદગીંને જીવી જાણી;
એક રે ક્યારામાં જેવાં ઝૂક્યાં ચંપો-કેળ :
હો રુદિયાના રાજા ! એવા રે મળેલા મનના મેળ !

જળમાં ઝિલાય જેવાં આભનાં ઊંડાણ,
જેવા ક્ષિતિજે ઢોળાય દિશના ઘેર :
હો રુદિયાની રાણી ! એવા રે મળેલા મનના મેળ !

- બાલમુકુંદ દવે

One Response to “કેવા રે મળેલા મનના મેળ”

  1. ashwin-sonal Says:

    સંગનો ઉમંગ માણી,
    જિંદગીંને જીવી જાણી;
    એક રે ક્યારામાં જેવાં ઝૂક્યાં ચંપો-કેળ :
    હો રુદિયાના રાજા ! એવા રે મળેલા મનના મેળ !

    ધરતી ભીંજાય જેવી મેહુલાની ધારે,
    જેવાં બીજ રે ફણગાય ખાતરખેડ :
    હો રુદિયાની રાણી ! એવા રે મળેલા મનના મેળ

    બહુ સરસ .. અવાજ પણ ખુબ મધુર છે.

Leave a Reply