મોર બની થનગાટ કરે


રાષ્ટ્રીય શાયર તરીકે જાણીતા થયેલ ઝવેરચંદ મેઘાણીએ મૂળ કવિવર રવિન્દ્રનાથ ટાગોરની કૃતિ ‘નવી વર્ષા’ નું ગુજરાતી રૂપાંતર કરવાનું બીડું ઝડપ્યું અને પરિણામ ? … ગુજરાતી સાહિત્યની કલગી સમાન એક સદાબહાર રચનાનું સર્જન થયું. વર્ષાઋતુ આવતાં જ્યારે આકાશ ઘનઘોર શ્યામરંગી વાદળોથી ઘેરાઈ જાય ત્યારે સૃષ્ટિ સોળે શણગાર સજી મેઘના સ્વાગત માટે થનગને. મયૂર માટે તો વર્ષા એટલે પ્રણયનું આહવાન .. એના હૃદયમાં વાસંતી ભરતી જાગે, એનું રોમેરોમ નર્તન કરી ઊઠે. મેઘાણીની અમર કૃતિ અને મારું સૌથી પ્રિય વર્ષાકાવ્ય માણો બે અલગ સ્વરોમાં.
[ સ્વર: ચેતન ગઢવી, આલ્બમ: લોકસાગરના મોતી; સ્વર: આશિત દેસાઈ, આલ્બમ: મેઘ મલ્હાર]

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. You also need to have JavaScript enabled in your browser.

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. You also need to have JavaScript enabled in your browser.

મોર બની થનગાટ કરે, મન મોર બની થનગાટ કરે.
ઘનઘોર ઝરે ચહુ ઓર,
મારું મન મોર બની થનગાટ કરે.
બહુ રંગ ઉમંગનાં પીંછ પસારીને બાદલસું નિજ નેનન ધારીને
મેઘમલાર ઉચારીને આકુલ પ્રાણ કોને કલ-સાદ કરે.
મારું મન મોર બની થનગાટ કરે.

ઘર ઘરર ઘરર મેઘઘટા ગગને ગગને ગરજાટ ભરે
ગુમરી ગુમરી ગરજાટ ભરે. (2)
નવે ધાન ભરી સારી સીમ ઝૂલે, નદીયું નવજોબન ભાન ભૂલે,
નવ દીન કપોતની પાંખ ખૂલે (2)
મઘરા મઘરા મલકાઇને મેડક નેહસું નેહસું બાત કરે.
ગગને ગગને ઘુમરાઇને પાગલ
મેઘઘટા ગરજાટ ભરે. … મન મોર બની

નવમેઘ તણે નીલ આંજણીએ મારાં ઘેઘૂર નેન ઝગાટ કરે
મારાં લોચનમાં મદઘેન ભરે (2)
પરછાઈ તળે હરિયાળી બની મારો આતમ નેન બિછાત કરે
સચરાચર શ્યામલ બાથ ધરે (2)
મારો પ્રાણ કરી પુલકાટ ગયો પથરાઇ સારી વનરાઇ પરે,
ઓ રે ! મેઘ આષાઢીલો આજ મારે દોય
નેન નીલાંજન-ઘેન ભરે … મન મોર બની

નદી-તીર કેરાં કૂણાં ઘાસ પરે પનિહારી એ કોણ વિચાર કરે,
પટકૂળ નવે પાણી-ઘાટ પરે ! (2)
એની સૂનમાં મીટ સમાઇ રહી, એની ગાગર નીર તણાઇ રહી,
એને ઘેર જવા દરકાર નહીં (2)
મુખ માલતીફૂલની કૂંપળ ચાવતી કોણ બીજા કેરું ધ્યાન ધરે !
પનિહાર નવે શણગાર નદી કેરે
તીર ગંભીર વિચાર કરે ! … મન મોર બની

ઓલી કોણ કરી લટ મોકળીયું ખડી આભ-મહેલ અટારી પરે
ઊંચી મેઘ-મહેલ અટારી પરે ! (2)
અને ચાકચમૂર બે ઉર પરે પચરંગીન બાદલ-પાલવડે
કરી આડશ કોણ ઊભેલ અરે ! (2)
ઓલી વીજ કેરે અંજવાસ નવેસર રાસ લેવા અંકલાશ ચડે,
ઓલી કોણ પયોધર સંઘરતી
વિખરેલ લટે ખડી મે’લ પરે ! … મન મોર બની

ઓલી કોણ હિંડોળ ચગાવત એકલ ફૂલ બકુલની ડાળ પરે,
ચકચૂર બની ફૂલ-ડાળ પરે ! (2)
વિખરેલ અંબોડાના અળ ઝૂલે, દિયે દેહ-નીંડોળ ને ડાળ હલે.
એની ઘાયલદેહના છાયલ-છેડલા
આભ ઊડી ફરકાટ કરે (2)
ઓલી કોણ ફંગોળ લગાવત એકલ ફૂલ બકુલની ડાળ પરે !
મોર બની થનગાટ કરે આજે … મન મોર બની.

તમરાંને સ્વરે કાળી રાત ધ્રુજે,
નવ બાદલને ઉર આગ બૂઝે (2)
નદીપૂર જાણે વનરાજ ગુંજે. હડૂડાટ કરી, સારી સીમ ભરી,
સરિતા અડી ગામની દેવડીએ (2)
ઘનઘોર ઝરે ચહુ ઓર મારું મન મોર બની થનગાટ કરે.

- ઝવેરચંદ મેઘાણી

ફરમાઈશ કરનાર મિત્ર - સંજય ભટ્ટ

8 Responses to “મોર બની થનગાટ કરે”

  1. Kamlesh B. Chauhan Says:

    ‘મન મોર બની થનગાટ કરે’
    આ ગીત ઇસરદાન ગઢવીના મુખે સાભળેલું .. ત્યારે ગમ્યું હતું. આજે આ સુંદર ગીત આપની સાઇટ પર જોઇ આનંદ થયો.
    કમલેશ બી. ચૌહાણ
    http://kamleshkumar.wordpress.com

  2. darshan Says:

    ખુબ સરસ. ખુબ અલ્પ સંખ્યામાં લોકોને ખબર હશે કે આ ભુમિ પર આવો પણ એક યુગ (ખરા અર્થમાં યોગ) પુરુષ થૈ ગયો હતો.
    કવિવર રવિન્દ્રનાથ ટાગોરજીની વધુ કાવ્ય રચના તેમના સચિત્ર સાથે આપવા નમ્ર વિનંતી.

  3. pragnaju Says:

    ખૂબ સુંદર કાવ્ય
    અનુરુપ સરસ અનુવાદ
    મધુરી ગાયકી

  4. Upasana Says:

    મારુ મન મોર બની થનગાટ કરી રહ્યુ!
    ધન્યવાદ!

  5. Patel Himmat R. Khetani Says:

    Vaah vaah apratim…. bahuj umada rachana… vah Meghanibapa vaah !! Sawaaee Charan……Ghani ghani khamma !!!!!!!!!!

  6. KIRIT Says:

    MARU MAN MOR BANI THANGAT KARE. …….SUPERB…..
    THANKS FOR SHARING

  7. HINA Says:

    ઘણા સમયથી આ ગીત સાંભળવા મન થનગનાટ કરી રહ્યું હતું, કૃપા કરી આ ગીતને અનુક્રમણિકામાં મુકશો ? ખુબ ખુબ આભાર. હેમુભાઈના સ્વરે ગવાયેલ જો કોઈ પાસે હોય તો જરુર અમીબેનને મોકલાવજો, જેથી આપણને બધાને લાભ મળે આ અતિ સુંદર કાવ્ય નો, ઉચ્ચતમ અવાજ સાથે.

  8. Nagin Jagada Says:

    Really enjoying a lot !

Leave a Reply